Chandrayaan-3 : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ઈતિહાસ રચ્યો

Chandrayaan 3 Landing : ચંદ્ર પર આજે (બુધવાર) સાંજે 6.04 વાગ્યે લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક લેન્ડ થયું છે. તેની સાથે જ દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરી ભારતે ઈતિહાસ રચી દીધો છે. આ જગ્યા પર પહોંચનાર દુનિયાનો પ્રથમ દેશ ભારત બની ગયો છે. આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું. વડાપ્રધાન મોદીએ પણ દેશ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. તો સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ દુનિયાભરમાંથી ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતને શુભકામનાઓ મળી રહી છે.
Chandrayaan 3 Landing Updates :
06:15 PM | અમેરિકામાં ભારતીય એમ્બેસીમાં ખુશીનો માહોલ
ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસીમાં મીઠાઈનું વિતરણ કરાયું છે.
06:10 PM | ભારત ચંદ્ર પર છેઃ એસ. સોમનાથ
ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ત્યારે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત ચંદ્ર પર છે.
06:08 PM | વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક સફળતા બદલ ઇસરો સહિત સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે નિષ્ફળતામાંથી જ સફળતાની ચાવી મળી હતી. અંતરિક્ષમાં આ ભારતની ઐતિહાસિક ઉપલબ્ધિ છે. તેમણે ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિને દિલો જાનથી શુભેચ્છા પાઠવી હતી. તેમણે સમગ્ર ભારતીયોનો આભાર માન્યો હતો.
06:05 PM : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ઈતિહાસ રચ્યો
ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાથે ચંદ્ર પર ભારતનો સૂર્યોદય થયો છે. દક્ષિણ ધ્રૂવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. તેણે અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોને પણ આ મામલે પાછળ છોડી દીધા છે. ચંદ્રયાન-૩એ તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
05 : 46 ચંદ્રયાન - ૩ એ ઉતરાણ શરૂ કરી કર્યુંં હતું . ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન સોફ્ટ લેન્ડિંગ માટે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથ બેંગલુરુમાં મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા.
05:45 PM : 05:45 PM : ચંદ્રયાન-3 થોડીક જ મિનિટોમાં લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરી દેશે. તે પોતાની જાતે જ લેન્ડિંગ કરશે. ISRO પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. લેન્ડર દ્વારા સતત ફોટા મોકલવામાં આવી રહ્યા છે. તેના આધારે જ લેન્ડિંગનું સ્થળ નક્કી થશે. અત્યાર સુધીમાં ચંદ્રયાન 3 ચંદ્રના 120 ચક્કર લગાવી ચૂક્યું છે. તેણે કુલ 155 લાખ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી છે.
05:30 PM : કાઉન્ટડાઉન શરૂ, ગણતરીની મિનિટોમાં ચંદ્રયાન-3નું થશે લેન્ડિંગ
ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યૂલના લેન્ડિંગમાં અડધો કલાકથી પણ ઓછો સમય બાકી છે. ઈસરોએ જણાવ્યું હતું કે, લગભગ 150 થી 100 મીટરની ઉંચાઈ પર પહોંચવા પર લેન્ડર પોતાના સેન્સર અને કેમેરાનો ઉપયોગ કરીને સપાટીની તપાસ કરશે કે કોઈ સમસ્યા તો નથી ને. પછી સોફ્ટ લેન્ડિંગ કરવા માટે નીચે ઉતરવાનું શરૂ કરશે.
04:25 PM : ઓટોમેટિક લેન્ડિંગ સીક્વન્સ શરૂ કરવાની તૈયારી
04:00 PM : ચંદ્રયાન-3ની સફળતા માટે અમદાવાદમાં યજ્ઞ
ચંદ્રયાન-3ની સફળતા માટે અમદાવાદની ચંદ્રપ્રકાશ સોસાયટીમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. આજે વિજય મુહૂર્તમાં આહુતિ અપાઈ હતી. સોસાયટીના નાગરિકોએ ISROનું મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ થાય તે માટે લોકોએ ઓડિસાના ભુવનેશ્વરની એક મસ્જિદમાં નમાઝ અદા કરી હતી.
01:00 PM : કમાન્ડ સેન્ટરથી ISROની ચાંપતી નજર
ISRO કમાન્ડ સેન્ટરથી સતત નજર રાખી રહ્યું છે. ISROએ ટ્વિટ કરીને જણાવ્યું કે, Automatic Landing Sequence શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. લેન્ડર મોડ્યૂલના નક્કી જગ્યાએ પહોંચવાની રાહ જોઈ રહ્યા છીએ. ALS કમાન્ડ મળવા પર થ્રોટલેબલ એન્જિન એક્ટિવ થશે. મિશન ઓપરેશન ટીમ કમાન્ડ આપતી રહેશે.
ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કરાશે લાઈવ ટેલીકાસ્ટ
આજે સાંજે 6.04 થનારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું સમગ્ર દેશમાં લાઈવ ટેલીકાસ્ટ કરાશે. આ કાર્યક્રમ માટે શાળા ખુલી રહેશે અને અવકાશ પ્રેમીઓ આ ઐતિહાસિક ક્ષણની ખુશીમાં પાર્ટીઓનું આયોજન કરી રહ્યા છે. ઈસરોએ કહ્યું કે, ચંદ્રયાન-3નું લાઈવ સ્ટ્રીમિંગ 23 ઓગસ્ટ, 2023ના રોજ 5:20 મિનિટથી શરૂ થઈ જશે. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ ઈસરોની સત્તાવાર વેબસાઈટ (isro.gov.in) સિવાય ઈસરોની યૂટ્યૂબ ચેનલ https://youtube.com/watch?v=DLA_64yz8Ss અને ફેસબુક પેજ facebook.com/ISRO પર પણ જોઈ શકાશે. આ સિવાય DD નેશનલ ટીવી પર પણ તેનું લાઈવ પ્રસારણ જોવા મળશે.
ચંદ્રયાન-3ની ISROના 'X' પર પળેપળની અપડેટ
ચંદ્રયાન-3ના લેન્ડિંગથી જોડાયેલી પળેપળની અપડેટ્સ ઈસરોના ટ્વિટર 'X' હેન્ડલ @isro પર મેળવી શકાશે.
PM મોદી ISRO સાથે વર્ચ્યુલી જોડાશે
દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2ના લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુલી જોડાશે. ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વાતચીત પણ કરશે.
વિક્રમ લેન્ડર ચંદ્ર પર આ રીતે ઉતરશે
વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર 30 ક્લિોમીટરની ઊંચાઈથી 1.68 કિલોમીટર પર સેકન્ડની ગતિએ લેન્ડિંગ પ્રક્રિયા શરુ કરશે, વિક્રમ લેન્ડર સીધું ઉતરશે નહીં પરંતુ અર્ધગોળા સ્થિતિમાં ધીમે ધીમે લેન્ડિંગ કરશે. વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી 7.5 કિલોમીટર દૂર હશે ત્યારે થોડો સમય રોકાશે અને જ્યાં ઉતરવાનું છે જે જગ્યા યોગ્ય છે કે નહીં તેનું કેમેરા નિરીક્ષણ દ્વારા કરશે. લેન્ડિંગ વખતે સ્પીડ ઝીરો કિલોમીટર પર સેકન્ડ પર આવી ગઈ હશે. નિરીક્ષણ બાદ યોગ્ય જગ્યાએ 800 મીટરની ઊંચાઈથી સીધું ઉતરણ થશે અને પછી વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સ્થાપિત થઈ જશે ત્યારબાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે અને કમાન્ડને આધારે આગળ કામગીરી શરુ કરશે.
સમસ્યા સર્જાશે તો પણ વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરી લેશે
વિક્રમ લેન્ડરના સેફ લેન્ડિંગ માટે સમગ્ર વિશ્વ પ્રાર્થના કરી રહ્યું છે ત્યારે ઈસરો અને તેના ચેરમેને તેમાં ખૂબ જ વિશ્વાસ દર્શાવ્યો છે. ઈસરોના ચેરમેન સોમનાથે જણાવ્યું કે, વિક્રમ લેન્ડરને આ વખતે વધારે સુરક્ષિત અને સચોટ બનાવવામાં આવ્યું છે. તેને 6 સિગ્મા બાઉન્ડ અંગે તૈયાર કરવામાં આવ્યું છે. તેના માટે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક દુર્ગમ જગ્યાએ તેના વિવિધ ક્રેશટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગત અભિયાનમાં વિક્રમ લેન્ડરમાં એક જ સુપર કમ્પ્યૂટર હતું તેની જગ્યાએ આ વખતે બે સુપર કમ્પ્યૂટર લગાવવામાં આવ્યા છે. આ વખતે વિક્રમ લેન્ડરના આંતરિક સેન્સર બંધ થઈ જશે તો પણ તે પોતાના ઓટોપાયલટ મોડ દ્વારા સુરક્ષિત જગ્યા શોધીને લેન્ડ કરી લેશે.
અધૂરા ઈતિહાસને પૂરો કરવાનો જુસ્સો
ભારત દ્વારા ઘણા વર્ષો પહેલાં ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવાનું અને તેના ઉપર પોતાનું યાન ઉતારવાનું સપનું જોવામાં આવ્યું હતું. 2008માં ચંદ્રયાન-1 મોકલીને ભારતે પોતાના સપનાની સિદ્ધિ તરફ પહેલું ડગલું માંડયું હતું. તે વખતે ચંદ્રયાન-1 ચંદ્રના પરિભ્રમણ ક્ષેત્રમાં પહોંચ્યું હતું અને તેના દ્વારા ચંદ્રની તસવીરો લેવામાં આવી હતી. તે વખતે પ્રારંભિક માહિતી ભેગી કરીને હવે ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું નવું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 વર્ષ સુધી આ દિશામાં મહેનત કરીને ઈસરો દ્વારા 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રયાન ચંદ્રની ધરતીથી માત્ર 2 કિ.મી. દૂર હતું અને લેન્ડિંગ પહેલાં ક્રેશ થઈ ગયું હતું. ભારતનું સપનું ત્યારે અધુરું રહી ગયું હતું જેને હવે પૂરું કરવામાં આવી રહ્યું છે. 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Hg604v7
via IFTTT
ટિપ્પણીઓ નથી: