વરૂણ ગાંધીએ પોતાની જ સરકારે આપી સલાહ, કહ્યું, ‘માત્ર ભારત માતાની જય બોલવાથી દેશનો વિકાસ થતો નથી’

પીલીભીત, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર

ઉત્તર પ્રદેશના પીલીભીતના ભાજપ સાંસદ વરૂણ ગાંધી ફરી પોતાની જ સરકાર વિરુદ્ધ મોટું નિવેદન કર્યું છે. તેમણે પોતાની જ સરકારને નીચું જોવું પડે તેવી નિવેદનબાજી કરી છે. પીલીભીતના પૂરનપુર જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વરૂણ ગાંધીએ પોતાના પક્ષના કાર્યકર્તા પર કટાક્ષ કર્યો હોવાની બાબત સામે આવી છે.

‘દેશમાં સરકારી કચેરીઓમાં 90 ટકા પદો પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ’

વરૂણ ગાંધીએ કહ્યું કે, દેશનો વિકાસ માત્ર ‘ભારત માતા કી જય’ના નારા લગાવવાથી થતો નથી, પરંતુ વિકાસ માટે ખેડૂતો, યુવાઓ, નાના વેપારીઓ અને સામાન્ય શ્રમિકોના હિતોની રક્ષા પણ કરવી પડે છે. સરકારી નોકરીઓની વર્તમાન માળખાની ટીકા કરતા તેમણે કહ્યું કે, હાલ દેશમાં સરકારી કચેરીઓમાં 90 ટકા પદો પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કામ થઈ રહ્યું છે. આ સિસ્ટમ કોઈપણ પ્રકારની નોકરીની સુરક્ષા પ્રદાન કરતી નથી. તેમણે કહ્યું કે, અમારી નવી પેઢી તેમની કારકિર્દી કેવી રીતે બનાવશે કારણ કે મોટાભાગના માતા-પિતા પાસે પૂરતા નાણાકીય સાધનોનો અભાવ છે.

‘ખેડૂતોને યોગ્ય લોન મળવી જોઈએ’

કૃષિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, ખેતી પરમેનન્ટ ખોટનો સોદો બની ગઈ છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર દેવામાં ડૂબી ગઈ છે. ગાંધીએ કહ્યું કે, ખેડૂતોને કોઈપણ સમસ્યા વગર યોગ્ય લોન આપવામાં આવે.

3 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે વરુણ ગાંધી

વરુણ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય ગાંધીના પુત્ર છે. તેઓ 3 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. વરુણ ગાંધી પ્રથમ વખત પીલીભીલ લોકસભા બેઠક પરથી વર્ષ 2009માં ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે તેમના નજીકના હરીફ વીએમ સિંહને અઢી લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. વર્ષ 2013માં ભાજપે વરુણ ગાંધીને પાર્ટીના મહાસચિવ બનાવ્યા હતા. ત્યારબાદ વરુણ ગાંધીએ ભાજપની ટિકિટ પર વર્ષ 2014માં સુલતાનપુરથી ચૂંટણી લડી અને જીત્યા.... વર્ષ 2019માં ભાજપે તેમને ફરી પીલીભીતથી પોતાના ઉમેદવાર બનાવ્યા. તેમણે આ ચૂંટણીમાં લગભગ અઢી લાખ મતોથી વિજય મેળવ્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t2xyfsG
via IFTTT

ટિપ્પણીઓ નથી: