રાહુલની સજા પર સુપ્રીમનો સ્ટે, ચૂંટણી લડી શકશે


- 'મોદી અટક'ના બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતાને સુપ્રીમ કોર્ટની રાહત, સંસદ સત્રમાં પણ ભાગ લઈ શકશે


- રાહુલ ગાંધીને 1 વર્ષ, 11 મહિનાની પણ સજા થઈ હોત તો તેમનું સાંસદપદ ગયું ના હોત, નીચલી કોર્ટ મહત્તમ સજા માટે કારણ જણાવી શકી નથી


- રાહુલનો ગૂનો ગૂનો હત્યા, બળાત્કાર કે અપહરણ જેટલો ગંભીર નથી, 13 કરોડના સમાજમાંથી માત્ર ભાજપના હોદ્દેદારે જ કેસ કર્યો : સિંઘવી

- રાહુલની અરજી પર સુનાવણી પૂરી થાય નહીં ત્યાં સુધી તેમને દોષિત ઠેરવવા પર સ્ટે યથાવત રહેશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને 'મોદી અટક બદનક્ષી' કેસમાં રાહત આપતાં તેમને થયેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમના કામચલાઉ સ્ટેના પગલે હવે રાહુલ ગાંધી માટે ફરી સાંસદ બનવાનો અને ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુરતની કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા  ફટકારતાં તેમણે સાંસદપદ ગુમાવવું પડયું હતું. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂકાદો સંભળાવતા કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે રાહુલ ગાંધીને મહત્તમ સજા આપવા મુદ્દે કોઈ નક્કર કારણ આપ્યું નથી. તેમણે માત્ર અગાઉ એક કેસમાં કોંગ્રેસ નેતાને ભાષણ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આપેલી ચેતવણીનો જ ઉલ્લેખ કર્યો હતો.

ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કરેલું નિવેદન યોગ્ય નથી. તેમણે ભાષણ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ ટ્રાયલ જજે કરેલી મહત્તમ સજા આકરી છે. તેનાથી માત્ર અરજદાર પર જ અસર નથી થતી પરંતુ તેમના સાંસદ તરીકે ગેરલાયક ઠરવાથી ચૂંટીને મોકલનારા મતદારોના અધિકાર પર પણ પડે છે. આ કેસમાં ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની પણ ઝાટકણી કાઢી હતી. આ સાથે બેન્ચે જણાવ્યું હતું કે, મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને દોષિત ઠેરવવા પર સ્ટે જળવાઈ રહેશે. 

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે હવે રાહુલ ગાંધી માટે સાંસદપદ પાછું મેળવવા અને ચૂંટણીમાં લડવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. 'મોદી અટક' કેસમાં સુરતની કોર્ટે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની ફરિયાદ પર કોંગ્રેસ નેતાને બે વર્ષની સજા કરી હતી. કોંગ્રેસ નેતાએ ટ્રાયલ કોર્ટના બે વર્ષની સજાના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના આદેશને જાળવી રાખ્યો હતો. આથી, રાહુલ ગાંધીએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હતો.

અગાઉ ન્યાયાધીશો પીએસ નરસિંહા અને સંજય કુમારને સમાવતી બેન્ચે કહ્યું હતુ ંકે, અમે એ જાણવા માગીએ છીએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મહત્તમ સજા જ કેમ અપાઈ. ટ્રાયલ જજે ૧ વર્ષ અને ૧૧ મહિનાની પણ સજા આપી હોત તો તેઓ સાંસદ તરીકે અયોગ્ય ઠરવામાંથી બચી ગયા હોત. બેન્ચને ફરિયાદી પુર્ણેશ મોદી તરફથી વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે, આવી સજા કદાચ એટલા માટે અપાઈ છે, કારણ કે રાહુલ ગાંધીને પહેલાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા જ ભાષણ આપવામાં ચેતવણી અપાઈ હતી, પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ વડાપ્રધાન મોદી વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ' નિવેદન કરવા બદલ સુપ્રીમ કોર્ટે તેમને આવા બદનક્ષીપૂર્ણ નિવેદનો કરવાથી દૂર રહેવા ચેતવણી આપી હતી.

જોકે, બેન્ચે જણાવ્યું કે, રાહુલ ગાંધીને એક દિવસ પણ ઓછી સજા કરાઈ હોત તો તેમનું સાંસદપદ જળવાઈ રહ્યું હોત. ટ્રાયલ કોર્ટના આદેશનો પ્રભાવ વ્યાપક છે. તેનાથી માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનમાં રહેવાના અધિકાર પર જ અસર નથી થઈ પરંતુ તેમને ચૂંટીને લોકસભામાં મોકલનારા મતદારોના અધિકાર પર પણ અસર થઈ છે. અંતિમ ચૂકાદો ના આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવામાં આવે છે. 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે કોંગ્રેસ નેતા તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સામે ઊભો કરાયેલો કેસ જ અર્થહીન છે. કારણ કે પહેલું તો રાહુલ ગાંધી તેમના ભાષણમાં જે લોકોના નામ બોલ્યા છે તેમાંથી કોઈએ માનહાનિનો કેસ કર્યો નથી. આ સિવાય જેમણે માનહાનિનો કેસ કર્યો છે તે પૂર્ણેશ મોદીની અટક મોદી નથી. ૧૩ કરોડ લોકોના નાના સમાજમાંથી જેમણે કેસ કર્યો છે તે ભાજપના હોદ્દેદાર છે. વધુમાં ટ્રાયલ કોર્ટે આ કેસને ખૂબ જ ગંભીર બાબત ગણાવી છે. પરંતુ આ કોઈ હત્યા, બળાત્કાર અથવા અપહરણ કરવા જેવો કેસ નથી, જેને ન્યાયાધીશ ગંભીર માને છે. તેમના પર અગાઉ પણ જેટલા પણ કેસ થયા છે તે બધા જ કેસ ભાજપ કાર્યકરોએ કર્યા છે અને કોઈપણ કેસમાં કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા નથી. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે, 'નીરવ મોદી, લલીત મોદી... તમે તપાસ કરશો તો તમને અન્ય મોદી પણ મળશે. બધા મોદી ચોર કેમ હોય છે?'


કેન્દ્ર સરકાર વિરુદ્ધ આકરાં વલણના કોંગ્રેસ નેતાના સંકેત

આજે નહીં તો કાલે સત્યનો હંમેશા વિજય થાય છે : રાહુલ

- રાહુલ ગાંધી સામે સેશન્સ કોર્ટમાં કાયદાકીય લડત મોદીસમાજ સાથે મળીને લડશે : પૂર્ણેશ મોદી

મોદી અટક કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે મૂક્યા પછી કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, આ ચૂકાદો સત્યનો વિજય છે. આ સાથે તેમણે આ સંઘર્ષમાં તેમની સાથે ઊભા રહેવા બદલ બધાનો આભાર માન્યો હતો. બીજીબાજુ પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકારે છે, પરંતુ સેશન્સ કોર્ટમાં ચાલતી કાયદાકીય લડત મોદી સમાજ સાથે મળીને લડશે.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત આપ્યા પછી કોંગ્રેસ મુખ્યાલય પર પક્ષના ટોચના નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું કે, આજે ખુશીનો દિવસ છે. સત્યમેવ જયતે... સત્યનો વિજય થયો છે. લોકતંત્ર જીત્યું છે. આ માત્ર રાહુલ ગાંધીનો વિજય નથી, આખા દેશની જનતાનો વિજય છે. 

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો દર્શાવે છે કે દેશમાં બંધારણ જીવિત છે, ન્યાય મળી શકે છે. આ સાથે ખડગેએ કોંગ્રેસનું સાંસદપદ આંચકી લેવા મુદ્દે કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીનું સાંસદપદ રદ કરવામાં ૨૪ કલાકનો જ સમય લાગ્યો હતો. હવે જોઈએ છીએ કે સાંસદપદ પાછું આપવામાં સરકાર કેટલો સમય લે છે.

રાહુલ ગાંધીએ કહ્યુ ંકે, આજે નહીં તો કાલે સત્યનો વિજય થાય છે. જે પણ થયું હોય મારો રસ્તો સાફ થઈ ગયો છે. મારે શું કામ કરવાનું છે તે બાબતે હું એકદમ સ્પષ્ટ છું. આ સાથે જનતાએ મને જે ટેકો આપ્યો તેનો ખૂબ ખૂબ આભાર.

બીજીબાજુ રાહુલ ગાંધીના ચૂકાદા મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ફરિયાદી પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સન્માન કરે છે અને આગળ સેશન્સ કોર્ટમાં જે પણ પ્રક્રિયા ચાલશે, ત્યાં આ કેસની કાયદાકીય લડત મોદી સમાજ સાથે મળીને લડશે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધની બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો હોવા અંગે પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ મોદી નામધારી, મોદી સરનેમધારી, મોદી સમાજ, મોદી કાસ્ટ આ બધાનું અપમાન કર્યું હતું. તેમના આ કૃત્ય અંગે અરજી કરાઈ હતી. 

સુપ્રીમના મહત્વના તારણ

રાહુલ ગાંધીને એક દિવસની પણ ઓછી સજા થઈ હોત તો તેમણે સાંસદપદ ગુમાવવું પડયું ના હોત. 

બંને કોર્ટે રાહુલ ગાંધીને સજા અંગે પાના ભરીને ચૂકાદા આપ્યા છે. 

ગુજરાત હાઈકોર્ટના ચૂકાદામાં ઉપદેશો ઘણા અપાયા છે, પરંતુ મહત્તમ સજા કેમ કરી તેનું કોઈ નક્કર કારણ જણાવ્યું નથી. 

ટ્રાયલ કોર્ટે મહત્તમ સજા આપતી વખતે માત્ર અગાઉ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપેલી ચેતવણીનો જ ઉલ્લેખ કર્યો. 

રાહુલ ગાંધી સામેનો ગૂનો નોન-કોગ્નિઝેબલ, જામીનપાત્ર અને સંજ્ઞોય હતો ત્યારે કોર્ટે મહત્તમ સજા અંગે ખુલાસો કરવાની જરૂર હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ચિત્ર બદલાઈ ગયું

રાહુલ ગાંધી આગામી સપ્તાહે લોકસભામાં પાછા ફરે તેવી સંભાવના

- રાહુલ ચોમાસુ સત્રમાં જ ગૃહમાં ઉપસ્થિત રહી શકશે : સિંઘવી, કોંગ્રેસમાં ઊજવણીનો માહોલ

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રાહુલ ગાંધીને ઘણી રાહત થઈ છે. લોકસભાનું સભ્યપદ પાછું મળશે સાથે પ્રશ્ન તે છે કે આખરે રાહુલ ગૃહમાં પાછા ક્યારે આવશે ? સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેટલીક ઔપચારિક્તા પૂરી કરવી જરૂરી છે. ત્યાર પછી જ રાહુલ ગૃહમાં ઉપસ્થિત રહી શકે.

રાહુલ ગૃહમાં આવતા વિપક્ષોનો અવાજ બુલંદ થશે. રાહુલ ગાંધીના વકીલનો દાવો છે કે, ચોમાસુ સત્રમાં જ તેઓ ગૃહમાં ઉપસ્થિત રહી શકશે. સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવતાં જ લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા અને રાહુલ ગાંધીની બરતરફી પાછી ખેંચવા વિનંતી કરી હતી. શક્ય છે કે આગામી સપ્તાહના પ્રારંભથી જ રાહુલ ગાંધી ગૃહમાં હાજર રહી શકશે.

રાહુલની હાજરીથી વિપક્ષને નવી તાકાત મળશે. મણિપુર મુદ્દે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત અને દિલ્હી વિધેયક મામલામાં સંસદમાં ભારે ગરમી ફેલાયેલી છે. રાહુલ આગમી સપ્તાહથી સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર થનારી ચર્ચામાં ભાગ લઈ શકશે.રાહુલના આગમની આશાથી કોંગ્રેસમાં ઊજવણીનો માહોલ છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ ઉત્સાહિત છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/p6Q8UI7
via IFTTT

ટિપ્પણીઓ નથી: