ઈદના દિવસે બિહારના નાલંદામાં વિસ્ફોટ, 4 લોકો ઈજાગ્રસ્ત, તપાસ માટે પહોંચી FSLની ટીમ

નાલંદા, તા.22 એપ્રિલ-2023, શનિવાર

બિહારના નાલંદામાં ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ટોલા મોડ પાસે ઈદના દિવસે વિસ્ફોટ થયો. આ ઘટના બાદ આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગવા લાગ્યા હતા. ઘટનાના થોડા સમય બાદ રસ્તાઓ પર લોહીના છાંટા દેખાવા લાગ્યા. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું કે, એક યુવક તેના મિત્રને બોમ્બ બતાવી રહ્યો હતો તે દરમિયાન વિસ્ફોટ થયો. આ ઘટનામાં એક યુવક મો ખન્નાના હાથ પર ઉજા પહોંચી છે. જ્યારે 3 લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે.

કેટલાક લોકોએ ઘટના સ્થળે પુરાવાઓ સાથે છેડછાડ કરી

હાલ ઘટનાસ્થળેથી બોમ્બ બનાવવાના કોઈ નિશાન હાથ લાગ્યા નથી. જોકે ઘટના સ્થળેથી ડબ્બો, કાંટો, દોરા, કાતર મળી આવ્યા છે, જેના કારણે શંકાઓ વધી ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના બાદ કેટલાક લોકો દ્વારા ઘટના સ્થલ પર સાફ-સફાઈ કરી પુરાવા સાથે છેડછાડ કરાઈ હતી, જેના કારણે પોલીસને નક્કર પુરાવા મળી શક્યા નથી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે. આ ઘટનામાં તપાસ માટે FSLની ટીમ પણ આવી ગઈ છે.

CCTV ફુટેજ તપાસાયા

નાલંદાના DM શશાંક શુભંકર, SP અશોક મિશ્રા, SDM અભિષેક પલાસિયા અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે કેસની તપાસ કરી રહ્યા છે. આ ઘટનામાં DM શશાંક શુભંકરે જણાવ્યું કે, હાલ ઘટનાસ્થળેથી બોમ્બ બનાવવાના કે બોમ્બ બ્લાસ્ટના કોઈ પુરાવા મળ્યા નથી. FSLની ટીમને બોલાવાઈ છે અને આ મામલે ખુલાસો કરાશે. SP અશોક મિશ્રાએ જણાવ્યું કે, CCTV ફૂટેજ જોયા બાદ લાગે છે કે, ધુમાડો થયા બાદ કેટલાક લોકો ભાગી ગયા છે અને તે લોકો કોણ છે અને શું કરી રહ્યા હતા, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eAwaGcr
via IFTTT

ટિપ્પણીઓ નથી: