ચીન સરહદે શાંતિ જાળવે તો જ સંબંધો સામાન્ય થશે : ભારત

- પૂર્વીય લદ્દાખમાં ઘર્ષણ પછી ચીનના સંરંક્ષણ મંત્રી લી શાંગફૂની દિલ્હીમાં રાજનાથ સાથે પહેલી બેઠક
- ચીને ત્રણ વર્ષ પહેલાં એલએસી પર વર્તમાન સમજૂતીઓનો ભંગ કરીને બંને દેશના દ્વિપક્ષીય સંબંધોનો પાયો હચમચાવી નાંખ્યો છે
- ચીન સરહદીય વિવાદનો અંત લાવવા માગતું નથી : 18મા તબક્કાની કમાન્ડર લેવલની બેઠક પછી ભારતના સંરક્ષણ નિષ્ણાતોનો મત
- ચીનના વિદેશ મંત્રી એસસીઓ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આગામી સપ્તાહે ગોવા આવશે
નવી દિલ્હી : પૂર્વીય લદ્દાખમાં ત્રણ વર્ષ પહેલાં સરહદ વિવાદ સર્જાયા પછી પહેલી વખત ભારત આવેલા ચીનના સંરક્ષણ મંત્રી લી શાંકફૂને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ સંભળાવી દીધું કે, ચીન સરહદે શાંતિ જાળવશે તો જ બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થઈ શકશે. બંને દેશના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે ગુરુવારે દિલ્હીમાં બેઠક થઈ હતી. બીજીબાજુ લદ્દાખમાં પાંચ મહિના પછી બંને દેશના સૈન્ય વચ્ચે યોજાયેલી ૧૮મી કોર કમાન્ડર લેવલની બેઠક કોઈપણ પરિણામ વિના પૂરી થઈ હતી. આ બેઠકના અંતે ભારતીય સંરક્ષણ નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે આ બેઠક પરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે ચીન સરહદીય વિવાદનો ઉકેલાવવા માગતું નથી.
રાજનાથ સિંહે ચીનના સંરક્ષણ મંત્રી શાંગફૂને જણાવ્યું કે, ભારત ચીન સાથે સંબંધો વિકસાવવા માટે આતુર છે, પરંતુ સરહદ અંગે વર્તમાન સમજૂતીઓના ભંગથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધોનો પાયો હચમચી ગયો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ના બધા જ મુદ્દાઓનો વર્તમાન દ્વિપક્ષીય સમજૂતીઓ અને કટિબદ્ધતાઓને અનુરૂપ ઉકેલ લાવવાની જરૂર છે. રાજનાથે ચીનના સંરક્ષણ મંત્રીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ભારત અને ચીનના સંબંધોનો વિકાસ સરહદ પર શાંતિ અને સુલહ પર આધારિત છે.
જોકે, રાજનાથ સિંહ અને શાંગફૂ વચ્ચેની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કરાયું નથી. રાજનાથ સિંહ અને લી શાંગફૂ વચ્ચે લગભગ ૪૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી. ચીનના સંરક્ષણ મંત્રી શાંકફૂ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. ભારત એસસીઓના સંરક્ષણ મંત્રીઓની બેઠકનું યજમાન છે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને મંત્રીઓએ ભારત-ચીન સરહદના વિસ્તારોમાં વિકાસ અને દ્વિપક્ષીય સંબંધો અંગે 'નિખાલસ' ચર્ચા કરી હતી. ભારતે સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી અને તેના આક્રમક વલણ બદલ ચીનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તેનું આ વલણ સરહદ વ્યવસ્થાપન અંગેના કરારનો ભંગ છે. ચીની પ્રમુખ શાંગફૂ દિલ્હી પહોંચ્યાના કલાકો પછી આ બેઠક યોજાઈ હતી.
બંને દેશના સંરક્ષણ મંત્રીઓની આ બેઠક લદ્દાખ સેક્ટરના ચુશુલુમાં ૨૩મી એપ્રિલે યોજાયેલી ૧૮મા તબક્કાની સૈન્ય સ્તરની કોર કમાન્ડર લેવલની બેઠકના એક સપ્તાહ પછી યોજાઈ હતી. બંને દેશ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠકો છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે, જેનો મૂળ આશય સરહદે મિલિટ્રી સ્ટેન્ડ ઓફ ખતમ કરવાનો છે. ૧૮મા તબક્કાની બેઠક પાંચ મહિના પછી યોજાઈ હતી, પરંતુ આ બેઠક કોઈપણ નિષ્કર્ષ વિના પૂરી થઈ ગઈ હતી. આ બેઠક પરથી બંને દેશ વચ્ચે વિવાદ ખતમ કરવાની દિશામાં આગળ વધવાના કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નહોતા. ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે, ૧૮મા તબક્કાની સૈન્ય બેઠકના નિષ્કર્ષ સ્પષ્ટપણે એવા સંકેત આપે છે કે ચીન સરહદ પર શાંતિ સ્થાપવા માગતું નથી.
ગોવામાં એસસીઓ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓના સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના વિદેશ મંત્રી છિન કાંગ પણ આગામી સપ્તાહે ભારત આવવાના છે. આ બેઠક ૪થી-૫મી મેના રોજ યોજાવાની છે. સિંહે ગુરુવારે કઝાખસ્તાન, ઈરાન અને તાજિકિસ્તાનના સંરક્ષણ મંત્રીઓ સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. પાકિસ્તાન સિવાય ચીન, રશિયા અને એસસીઓના અન્ય સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીમાં થઈ રહેલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ઓનલાઈન માધ્યમથી બેઠકમાં ભાગ લેશે.
ચીનના પ્રોજેક્ટ પર ભારતની ચાંપતી નજર
ચીનની મેલી મુરાદ : બ્રહ્મપુત્ર નદી પર હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ બનાવશે
- ચીનના વીજળી પેદા કરવાના પ્રોજેક્ટથી ભારતીય હિતોને અસર ના પહોંચે તે માટે સરકાર જાગૃત
પૂર્વીય લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી એલએસી પર ચીન સતત કંઈક ને કંઈક અટકાળા કરતું જ રહે છે. ભારત સાથે સંબંધો સામાન્ય કરવાનો દાવો કરતા ચીને હવે બ્રહ્મપુત્ર નદી પર તેની મેલી નજર ઠેરવી છે. ચીને અહીં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જોેકે, ભારતની આ પ્રોજેક્ટ પર ચાંપતી નજર છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશતા પહેલાં ચીનના વિસ્તારમાંથી આવે છે. તેના આ વિસ્તારમાં ચીને ૬૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાવાળો હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપવાની યોજના બનાવી છે. તેની આ યોજના પર કેન્દ્ર સરકાર ચાંપતી નજર છે. આ પ્રોજેક્ટથી ભારતીય હિતો પર અસર ના પડે તે અંગે સરકાર સંપૂર્ણપણે જાગૃત છે. શેખાવતે કહ્યું કે, ચીન પહેલાં સતત એ બાબતનો ઈનકાર કરતું રહ્યું કે, તેણે આ પ્રકારનો કોઈ બાંધ બાંધવાની યોજના બનાવી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં પહેલાં ત્યાંની સરકારી કંપની પાવર ચાઈનાએ તથા પાછળથી ત્યાંની સરકારે તેની પંચવર્ષીય યોજનામાં તેનો ઉલ્લેખ કર્યો છે કે બ્રહ્મપુત્ર નદી જ્યાં ભારતમાં પ્રવેશ કરે છે તેનાથી ઉપરના વિસ્તારમાં અનેક પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને ૬૦,૦૦૦ મેગાવોટ વીજળી પેદા કરાશે.
ચીનના આ પ્રોજેક્ટથી ભારતીય વિસ્તારો પર કોઈ વિપરિત અસર ના પડે તે માટે દરેક શક્ય પગલાં લેવા માટે કેન્દ્ર સરકાર જાગૃત છે અને તે માટે સરકાર આગળ પણ કામ કરતી રહેશે. વર્ષ ૨૦૨૨માં સંસદમાં રજૂ કરાયેલા જળ સંશાધન સંબંધિ સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીન તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં બ્રહ્મપુત્ર નદીના મુખ્ય પ્રવાહ પર ત્રણ જળ વિદ્યુત પ્રોજેક્ટને ચીનની સરકારે મંજૂરી આપી દીધી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/M3dWTx8
via IFTTT
ટિપ્પણીઓ નથી: