મેહુલ ચોક્સીની તરફેણમાં એન્ટીગુઆ-બારબુડાની હાઈકોર્ટનો ચુકાદો, હવે ભારત લાવવું મુશ્કેલ થયું!

image : Wikipedia 


ભારતમાં 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે ભાગેડું જાહેર આર્થિક ગુનેગાર બિઝનેસમેન મેહુલ ચોક્સીને એન્ટીગુઆ અને બારબુડાની હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. હાઈકોર્ટે કહ્યું કે ચોક્સીને એન્ટીગુઆ અને બારબુડાથી બહાર નહીં લઈ જઈ શકાય. 

મેહુલ ચોક્સીએ આ દલીલો કરી... 

મેહુલ ચોક્સીએ એવી દલીલ કરી હતી કે એન્ટીગુઆના એટોર્ની જનરલ અને પોલીસ પ્રમુખ પર તેની વિરુદ્ધ દાખલ કેસની તપાસ કરવાની જવાબદારી છે. એક અહેવાલ અનુસાર મેહુલ ચોક્સીએ તેની સાથે અમાનવતીય કે અપમાનજનક વર્તન કે સજાની આશંકા પણ વ્યક્ત કરી હતી. 

કોર્ટે ચુકાદામાં શું કહ્યું... 

ચોક્સીએ ખુદને રાહત આપવાની માગ કરતા કહ્યું હતું કે 23 મે 2021ના રોજ એન્ટીગુઆ અને બારબુડાથી તેના બળજબરીપૂર્વક અપહરણના પ્રયાસની ઊંડી તપાસ થવી જોઇએ. આ મામલે સુનાવણી બાદ હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કે કોર્ટના આદેશ વિના એન્ટીગુઆ અને બારબુડાની સરહદ બહાર મેહુલ ચોક્સીને લઈ જઈ નહીં શકાય. આદેશમાં એમ પણ કહેવાયું કે ડોમિનિકલ પોલીસ તેની પુષ્ટી કરે કે તેના વિશે પુરાવા છે કે ચોક્સીને તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકા લઈ જવાયો હતો. ચોક્સીએ દાવો કર્યો હતો કે તેને બળજબરીપૂર્વક એક બોટમાં બેસાડી ડોમિનિકા લઈ જવાયો હતો. 

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી 

ઉલ્લેખનીય છે કે હીરા કારોબારી મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને આ મામલે તેને ભાગેડું જાહેર કરાયો છે. સીબીઆઈ પહેલા જ કહી ચૂકી છે કે તે અપરાધિક ન્યાયની પ્રક્રિયાનો સામનો કરવા માટે ભાગેડું અને ગુનેગારોને ભારત પાછા લાવવા માટે તે પ્રતિબદ્ધ છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/D6khx7y
via IFTTT

ટિપ્પણીઓ નથી: