ચીનનું નવું કારસ્તાન : સિનિયર અધિકારીઓની દેખરેખ હેઠળ LAC પાસે સૈનિકોને આપી રહ્યો છે સ્પેશિયલ ટ્રેનિંગ

Image - anjaw

નવી દિલ્હી, તા.17 એપ્રિલ-2023, સોમવાર

ચીન ભારતના પ્રદેશોને પચાવી પાડવાની ખોરી દાનત ધરાવે છે તેથી સમયાંતરે કાંકરીચાળો કર્યા કરે છે. એટલું જ નહીં ચીન વર્ષોથી અરૂણાચલ પ્રદેશમાં કંઈક ને કંઈક વિવાદો કર્યા જ કરે છે. આવા જ એક નવા ડખામાં ચીને તાજેતરમાં અરૂણાચલ પ્રદેશના 11 સ્થળોનાં નવાં નામ જાહેર કર્યાં હતા, ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ભડકી ગયું હતું. તો હવે ફરી ચીનનું નવું કારસ્તાન સામે આવ્યું છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર અરુણાચલ પ્રદેશમાં LAC નજીક ચીન તેના બોર્ડર ડિફેન્સ બ્રિગેડના સૈનિકોને ખાસ ફેસઓફ ડ્રિલ ટ્રેનિંગ આપી રહ્યું છે.

કિબિથુની બીજી તરફ ચીનની સૈનિકોને ટ્રેનિંગ

કિબિથુની બીજી તરફ 15-15 દિવસની અનઆર્મડ કાંબેટ ટ્રેનિંગ ચાલી રહી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર પ્રથમ બેચની ટ્રેનિંગ 7 દિવસ પહેલા શરૂ થઈ ગઈ છે અને કુલ 1800 સૈનિકોને ટ્રેનિંગ આપવામાં આવનાર છે. મહત્વની વાત એ છે કે બોર્ડર ડિફેન્સ બ્રિગેડના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર ટ્રેનિંગ પર નજર રાખી રહ્યા છે. જો કે દર વર્ષે તાલીમમાં ફાયરિંગ અને અન્ય કવાયત થતી હતી, પરંતુ આ વર્ષથી અનઆર્મડ કાંબેટ ટ્રેનિંગ પર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.

ક્યાં અપાઈ રહી છે સ્પેશિયલ ટ્રેનિંગ ?

મહત્વની વાત એ છે કે, ભારતીય ક્ષેત્ર કિબિથુની બીજી તરફ આ ટ્રેનિંગ ચાલી રહી છે. તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે કિબિથુની મુલાકાત લીધી હતી. કિબિથુની મુલાકાત લઈ અમિત શાહે પોતાના અંદાજમાં ચીનની હરકતોને સંદેશો પણ આપ્યો હતો. તાજેતરમાં ચીને તેના બોર્ડર ડિફેન્સ ફોર્સ માટે 26000 કોલ્ડ વેપન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે, પરંતુ તેનો ઉપયોગ ઓછો કરવા માટે સૈનિકોને અનઆર્મડ કાંબેડ ડ્રિલ માટે વધુ તૈયાર કરવા પર ભાર આપી રહ્યો છે.

અમિત શાહની અરૂણાચલ મુલાકાતથી ભડક્યું હતું ચીન

ચીને તાજેતરમાં અરૂણાચલ પ્રદેશના 11 સ્થળોનાં નવાં નામ જાહેર કર્યાં હતા, ત્યાર બાદ ગૃહમંત્રી અમિત શાહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન ભડકી ગયું હતું. આ દરમિયાન ચીને કહ્યું હતું કે, અમિત શાહની અરુણાચલની મુલાકાત સરહદ પર શાંતિ અને સલામતીને નુકસાન પહોંચી શકે છે. તો ભારતે પણ ચીન દ્વારા વિસ્તારોના નામો બદલવાના નિર્ણયની નિંદા કરી હતી. ઉપરાંત અમેરિકાએ પણ ચીનની હરકતને ઉશ્કેરણીજનક કાર્યવાહી કહી હતી.

અગાઉ પણ ચીને 6 સ્થળોના નામો બદલ્યા હતા

ચીને નામો બદલવાની હરકત પહેલી વાર નથી કરી. આ પહેલાં બે વાર ચીને અરૂણાચલ પ્રદેશના સ્થળોનાં નવાં નામોની યાદી બહાર પાડી હતી. ચીને ૨૦૧૭માં અરૂણાચલમાં છ સ્થળોનાં નવાં નામ પાડીને તેમની પહેલ યાદી બહાર પાડી હતી. ૨૦૨૧માં ફરી એ જ હરકત કરીને બીજાં ૧૫ સ્થળોની બીજી યાદી બહાર પાડી હતી. હવે વધારે ૧૧ સ્થળોનાં નવાં નામ સાથેની યાદી બહાર પડાતાં અત્યાર સુધીમાં ચીને કુલ ૩૨ સ્થળોનાં નામ બદલ્યાં છે.  આ વખતે ચીને જે યાદી બહાર પાડી તેમાં બે રહેણાંક વિસ્તાર છે, બે મેદાન વિસ્તાર છે, બે નદી છે અને પાંચ પર્વતનાં શિખરો છે. 

ચીનને જવાબ આપવા ભારત પણ સક્ષમ

ચીને ભારતની પીઠમાં છુરો ભોંકીને અરૂણાચલ પ્રદેશના લગભગ ૯૦ હજાર કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો પણ એ અનુભવ પછી ચેતી ગયેલા ભારતે ચીનને ફાવવા નથી દીધું. ચીને સરહદ પરના વિસ્તારોને પચાવી પાડવા ઘણી વાર કોશિશ કરી પણ ભારતે તેને ફાવવા દીધું નથી. ચીને થોડાં વરસો પહેલાં તો ડોકલામમાં રીતસરનો હુમલો કરી દીધેલો ને છતાં ભારતે તેને મારી હટાવ્યું હતું. અત્યારે ચીને કરેલી હરકત તો સામાન્ય છે ને વાસ્તવમાં તેનાથી ભારતને જરાય ફરક પડતો નથી પણ આ હરકત ચીનની ખોરી દાનતને છતી કરે છે. ચીનની હરકત એ વાતનો પુરાવો છે કે, ભારત ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ ચીન ભારતના વિસ્તારોને પચાવી પાડવાની ખોરી દાનત નહીં છોડે. 

અરૂણાચલ પ્રદેશ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું

ચીન આ હરકતો કેમ કરે છે એ પણ સમજવા જેવું છે. ચીનનો ડોળો અરૂણાચલ પ્રદેશ પર છે તેનું કારણ એ છે કે, અરૂણાચલ પ્રદેશ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. ભારત માટે અરૂણાચલ પ્રદેશ ઉત્તરપૂર્વમાં સૌથી મોટું રાજ્ય છે અને ત્રણ દેશોની સરહદને અડકે છે તેથી વ્યૂહાત્મક રીતે બહુ મહત્વનું છે. અરૂણાચલ પ્રદેશ ઉત્તર અને ઉત્તરપશ્ચિમમાં તિબેટ, પશ્ચિમમાં ભૂટાન અને પૂર્વમાં મ્યાનમાર સાથે જોડાયેલું છે. પૂર્વોત્તરનું સુરક્ષા કવચ ગણાતા અરૂણાચલ પ્રદેશની સરહદ સાથે જોડાયેલા ત્રણેય દેશો અત્યારે ચીનની સીધા યા આડકતરા અંકુશ હેઠળ છે. આમ તો ચીનનો ડોળો આખા અરુણાચલ પ્રદેશ પર છે ને ચીન તેને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે પણ તેના માટે સૌથી મહત્વનો વિસ્તાર તવાંગ જિલ્લો છે. અરૂણાચલ પ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં આવેલા તવાંગ જિલ્લા સાથે ભૂટાન અને તિબેટની સરહદો જોડાયેલી છે. તિબેટ ચીનના કબજામાં જ છે પણ ચીન તવાંગ જિલ્લા પર કબજો કરે તો ભૂતાનમાં પણ સરળતાથી ઘૂસણખોરી કરી શકે. 

ભારત માટે અરૂણાચલની રાજધાની ઈટાનગર ખુબ જ મહત્વની

ભારત માટે અરૂણાચલ પ્રદેશ વધારે મહત્વનું એ રીતે છે કે, ચીન કોઈ પણ સળી કરે તો તેનો જવાબ આપવા માટે અરૂણાચલ પ્રદેશ લોચિંગ પેડ સાબિત થાય. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરથી બીજિંગનું અંતર લગભગ ૨૫૦૦ કિલોમીટર છે. ભારત પાસે અત્યારે ૩૫૦૦ કિલેમીટરની રેન્જ સુધીની મિસાઈલો હોવાથી અરૂણાચલ પ્રદેશમાંથી ભારત ચીન પર સરળતાથી મિસાઈલ હુમલો કરી શકે છે. ચીનના નાલાયકી વધતાં ભારતે અરૂણાચલ પ્રદેશને એરફોર્સનો અડ્ડો બનાવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં ઈટાનગર, ઝીરો, પાસીઘાટ અને તેજુ એમ ચાર એરપોર્ટ બનાવાયાં છે કે જ્યાંથી એરફોર્સનાં મોટાં વિમાન સરળતાથી ઉડી શકે ને ચીનને ખેદાનમેદાન કરી શકે. અરૂણાચલ પ્રદેશમાં એરફોર્સે ૯ એર સ્ટ્રીપ્સ બનાવી છે. મેકમોહન લાઇન પાસે ભારતે સંખ્યાબંધ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. ચીન સળી કરે તો તેને જડબાતોડજવાબ આપવા માટે ભારત અરૂણાચલ પ્રદેશમાંથી મોરચો ખોલી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WUG61Vp
via IFTTT

ટિપ્પણીઓ નથી: