સુદાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન કાવેરી શરૂ

- આફ્રિકન દેશ સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુનાં મોત, 3500 ઈજાગ્રસ્ત
- સુદાનમાં 3000 જેટલાં ભારતીયો ફસાયા હોવાનો અંદાજ : પહેલી ખેપમાં 500 ભારતીયોને પાછા લવાશે : એરફોર્સના વિમાનો રવાના
નવી દિલ્હી : સુદાનમાં ભારે હિંસા ફાટી નીકળી છે. સૈન્યના બે દળો વચ્ચેની લડાઈમાં સુદાનના નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. હિંસાની આગમાં સપડાયેલા સુદાનમાં ૩૦૦૦ કરતાં વધુ ભારતીયો ફસાયા છે. ભારત સરકારે ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી લોંચ કર્યું છે. એરફોર્સના વિમાનો અને યુદ્ધજહાજને રવાના કરી દેવાયા છે. પહેલી ખેપમાં ૫૦૦ ભારતીયોને પાછા લવાશે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટરમાં આ ઓપરેશનની જાણકારી આપી હતી. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે સુદાનમાં સૈન્યદળો વચ્ચે ચાલતા સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૪૦૦ કરતાં વધુનાં મોત થઈ ચૂક્યા છે અને ૩૫૦૦ને ઈજા પહોંચી છે. બધા દેશોએ પોત-પોતાના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવા ઓપરેશન શરૂ કર્યાં છે. વિદેશ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે સુદાનના બંદરે યુદ્ધજહાજ આઈએનએસ સુમેઘા પહોંચી ગયું છે. તે ઉપરાંત એરફોર્સના બે સી-૧૩૦ પ્રકારના વિમાનો પણ ભારતથી રવાના થયા હતા અને સાઉદી અરબના જેદ્દામાં પહોંચ્યા હતા. ઓપરેશન કાવેરી શરૂ કરીને ભારત સરકાર સુદાનમાં ફસાયેલા તમામ ભારતીયોને પાછા લાવશે. પહેલી ખેપમાં લગભગ ૫૦૦ ભારતીયોને પાછા લવાશે.
આ ભારતીયો સુદાન બંદરે પહોંચી ચૂક્યા છે. એ તમામ આઈએનએસ સુમેઘામાં સાઉદી આવશે અને ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે.વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટરમાં જાણકારી આપી હતીઃ ઓપરેશન કાવેરી શરૂ કરી દેવાયું છે. સુદાનમાંથી બધા જ ભારતીયોને પાછા લવાશે. ૫૦૦ ભારતીયો બંદરે પહોંચી ચૂક્યા છે. વધુ હજુ રસ્તામાં છે. એરક્રાફ્ટ અને શિપ તૈનાત થઈ ચૂક્યા છે. સુદાનમાં ફસાયેલા તમામને જરૂરી સહાય આપવામાં આવી રહી છે.
દરમિયાન ફ્રાન્સે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ફ્રાન્સના નાગરિકો ઉપરાંત અન્ય દેશોના નાગરિકોને પણ સુદાનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું, એમાં ભારત સહિત ૨૮ દેશોના ૩૮૮ નાગરિકોને પેરિસમાં લઈ આવવામાં આવ્યા હતા. જોકે, ફ્રાન્સના મિશનમાં કેટલા ભારતીયો પેરિસ પહોંચ્યા છે તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો ન હતો. નવી દિલ્હી સ્થિત ફ્રાન્સ દૂતાવાસે આ જાહેરાત કરી હતી. એ જ રીતે સાઉદીએ પણ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ૬૬ વિદેશી નાગરિકોને બહાર કઢાયા હતા. આ વિદેશી નાગરિકોમાં ભારતીયો પણ છે.
યુરોપિયન સંઘે પણ સભ્ય દેશોના નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઈયુના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે ૧૦૦૦ કરતાં વધુ લોકોને સલામત રીતે સુદાનમાંથી પાછા લાવવામાં આવ્યા છે. હજુય ઓપરેશન જારી છે. વિદેશી નાગરિકોને પણ મદદ કરવામાં આવી રહી છે. શક્ય એટલી ઝડપથી તમામ વિદેશી નાગરિકો સ્વદેશ પાછા ફરે એવી કોશિશ ચાલી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે સુદાનની સરકારે જાહેર કરતા આંકડાં પ્રમાણે છેલ્લાં ૧૧ દિવસમાં હિંસક સંઘર્ષના કારણે ૪૧૩ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ૩૫૫૧ નાગરિકો ઘાયલ થયા છે. મૃતકોમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોનો આંકડો વધુ હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ હતી.
20થી વધુ દેશોએ પોતાના નાગરિકોને બહાર કાઢવા ઓપરેશન શરૂ કર્યાં
૨૦ કરતાં વધુ દેશોએ પોત-પોતાના નાગરિકોને સુદાનમાંથી પાછા લઈ આવવા માટે ઓપરેશન શરૂ કર્યાં છે. અમેરિકાએ દૂતાવાસ બંધ કરીને ૭૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને પાછા લાવવા માટે હેલિકોપ્ટર્સ મોકલ્યા હતા. તે ઉપરાંત લગભગ ૧૬૦૦૦ જેટલાં અમેરિકન નાગરિકો સુદાનમાં ફસાયા છે. અમેરિકાના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આ તમામ નાગરિકોએ પોતાની રીતે પાછા ફરવાની વ્યવસ્થા કરવી પડશે. એમ્બેસી બંધ કરી દેવામાં આવી હોવાથી હવે તમામ નાગરિકો માટે અલગથી ઓપરેશન શરૂ કરવાનું કામ કપરું છે. બ્રિટને ૨૦૦૦ નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. બ્રિટિશ દૂતાવાસના ૩૦ કર્મચારીઓને પરત બોલાવી લેવાયો હતો. ફ્રાન્સે લશ્કરી વિમાનો મોકલીને વિદેશી નાગરિકો સહિત ૩૮૮ને સુદાનમાંથી બહાર કાઢ્યા હતા. જર્મનીએ સુદાનથી જોર્ડનના રસ્તે ૩૧૧ નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ઈટાલીના એરફોર્સ વિમાનોમાં ૨૦૦ લોકો સ્વદેશ પાછા ફર્યા હતા. સ્પેનના ઓપરેશનમાં ૩૪ સ્પેનિશ નાગરિકો સહિત ૧૭૨ લોકોને પાછા લાવવામાં આવ્યા હતા. સ્વીડન-ડેનમાર્કે ફ્રાન્સની મદદથી પોતાના ૨૫ નાગરિકોને બહાર કાઢ્યા હતા. જાપાન, જોર્ડન, ઈજિપ્ત, પોલેન્ડ સહિતના દેશોએ પોત-પોતાના નાગરિકોને હેમખેમ પરત લાવવા ઓપરેશનો શરૂ કર્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/usOY4FB
via IFTTT
ટિપ્પણીઓ નથી: