કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો : પાંચ જવાનો શહીદ

- આતંકીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું
- આર્મીની ગાડી ભીંબર ગલીથી પુંછ જતી હતી ત્યારે ભારે વરસાદ વચ્ચે આતંકવાદીઓએ ગ્રેનેડથી એટેક કર્યો હતો
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આર્મીના વાહન પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. ભારે વરસાદ વચ્ચે ભીંબર ગલીથી પુંછ જઈ રહેલા સૈન્યના વાહન પર ગ્રેનેડ એટેક થયો હતો.
જમ્મુ-પુંછ નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં આગ લાગી હતી. ભારે વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તેના કારણે આર્મીના વાહનને નિશાન બનાવીને આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ફાયરિંગ કરવા ઉપરાંત ગાડી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે આર્મીના વાહનમાં ભયાનક આગ લાગી હતી.
આ આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આખા વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. ઘટના સ્થળે પહોંચીને આર્મીના જવાનો અને સ્થાનિક લોકોએ ગાડીમાં લાગેલી આગને ઠારી હતી. જ્યાં આગ લાગી એ વિસ્તાર ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થાય છે.
પોલીસ અને આર્મીની ટૂકડીએ સંયુક્ત રીતે આતંકવાદીઓને પકડી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પુંછથી ૯૦ કિલોમીટર દૂર આવેલા ભાટાદૂડિયા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ હુમલામાં એક જવાનને ગંભીર ઈજા પહોંચી છે. આર્મીનું વાહન આગમાં સપડાયું છે એ દર્શાવતો વીડિયો પણ સામે આવ્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LFTndRq
via IFTTT
ટિપ્પણીઓ નથી: