હનુમાનજી દુષ્ટોનો અને ભાજપ ભ્રષ્ટોનો નાશ કરે છે : વડાપ્રધાન મોદી

- ભાજપના 44મા સ્થાપના દિવસે પીએમનું કાર્યકરો-નેતાઓને સંબોધન
- વડાપ્રધાને 2014થી કેન્દ્રમાં ભાજપની સરકારની સિદ્ધિઓનું સરવૈયું આપ્યું: ૨૦૨૪માં ભાજપની જ સરકાર આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી : ભાજપના ૪૪મા સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરો અને નેતાઓને સંબોધ્યા હતા. એ નિમિત્તે પીએમ મોદીએ ભાજપની સરખામણી હનુમાનજી સાથે કરતા કહ્યું હતું કે હનુમાનજી દુષ્ટોનો નાશ કરે છે, જ્યારે ભાજપ ભ્રષ્ટોનો નાશ કરે છે. તેમણે ૨૦૧૪ પછી કેન્દ્ર સરકારે જે યોજના જાહેર કરી છે તેની સિદ્ધિઓ ગણાવી હતી અને આ અરસાને અભૂતપૂર્વ ગણાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું હતું કે અત્યાર સુધી દેશની સંસ્કૃતિનો, દેશના વિકાસનો વિચાર કરવામાં આવ્યો ન હતો. બાદશાહી માનસિકતાથી સરકારો ચાલતી હતી. બધી જ પાર્ટીઓ વંશવાદ, ભ્રષ્ટાચારમાં ડૂબેલી હતી. ૨૦૧૪માં જે થયું તે માત્ર સત્તા પરિવર્તન ન હતું, પરંતુ ભારતના લોકોએ પુર્નજાગરણની એક નવી યાત્રાનો શંખનાદ કર્યો હતો. વડાપ્રધાને ઉમેર્યું હતું કે ૧૯૪૭માં ભલે આઝાદી મળી ગઈ હોય, પરંતુ અંગ્રેજો દેશના નાગરિકોને ગુલામ બનાવવાની માનસિકતા કેટલાક લોકોના મગજમાં છોડીને ગયા હતા. એટલે આઝાદી પછી એક ચોક્કસ વર્ગનો જ વિકાસ થતો હતો એ લોકો તેમનો જન્મજાત અધિકાર માનતા હતા. ૨૦૧૪ પછી શોષિત, ગરીબ, મજૂર વર્ગનો અવાજ સાંભળવામાં આવ્યો અને તેમનો વિકાસ થયો. મોદીએ ૨૦૧૪ પછી સરકારના ઉપલબ્ધિ ગણાવતા કહ્યું હતું કે કોઈએ કલ્પના નહોતી કરી કે દેશમાં ડિજિટલ ક્રાંતિ થશે, ૩૭૦ કલમ નાબુદ થશે. મોદીએ નેતાઓ-કાર્યકરોને ૨૦૨૪ની ચૂંટણી માટે પરિશ્રમ કરવાની સલાહ આપી હતી અને જીતી જવાના છીએ એટલે વધારે પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાનું પણ કહ્યું હતું.
મોદીએ ફ્યૂચર પોલિટિક્સ માટે પાંચ સૂત્રો આપ્યા
સામાજિક ન્યાય ભાજપ માટે ધર્મ છે. માત્ર નારાનો વિષય નથી. ન્યાયના નામે કેટલાક લોકો માત્ર દેખાડો કરે છે અને પરિવારનું જ ભલું કરે છે, પરંતુ ભાજપ સામાજિક ન્યાયને જીવે છે અને તેનું પાલન કરે છે. પછાત, મહિલાઓ અને મજૂરોને સમર્પિત પાર્ટી છે. તે ઉપરાંત પરિવારવાદ અને ભ્રષ્ટાચાર અંગે મોદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે ભાજપ જ્યારે સ્થાપનાના ૫૦ વર્ષ પૂરા કરશે ત્યારે દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. આપણે નવી ઊંચાઈએ દેશને લઈ જઈશું. પાર્ટીના કાર્યકરોને તાલીમ માટે નવા નવા પ્લેટફોર્મ બનાવવા પડશે, તેમને સજ્જ કરવા પડશે. ભાજપના બધા જ મોરચાઓએ વધારે સંગઠિત થઈને કામ કરવાની જરૂર છે. વડાપ્રધાને નેતાઓને અને કાર્યકરોને સોશિયલ મીડિયાના માધ્યમથી જનસંપર્ક કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ જમાનો ટેકનોલોજીનો છે અને પાર્ટીએ ટેકનોલોજી સાથે જોડાઈને કામ કરવું અનિવાર્ય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Z6DSFYK
via IFTTT
ટિપ્પણીઓ નથી: