ખેડૂત આંદોલન તરફથી ધ્યાન હટાવવા ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરશે: પાકિસ્તાની મિડિયા


- વાસ્તવમાં હવે પાકિસ્તાન સ્ટ્રાઇકના નામથી થથરે છે

નવી દિલ્હી તા.10 ડિસેંબર 2020 ગુરૂવાર

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન તરફથી લોકોનું ધ્યાન બીજે ખેંચવા ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે એવા ભળતા અહેવાલ પાકિસ્તાની મિડિયાએ પ્રગટ કર્યા હતા.

પોતાના ગુપ્તચર ખાતાના પ્રવક્તાને ટાંકીને પાકિસ્તાનના મુખ્ય અખબાર એક્સપ્રેસ ટ્રાઇબ્યુને એવો અહેવાલ પ્રગટ કર્યો હતો કે ભારત સરકાર ખેડૂતોના આંદોલનથી ડઘાઇ ગઇ હતી અને દેશવિદેશના લોકોનું આ ખેડૂત આંદોલન તરફ ધ્યાન ખેંચાયું હતું. આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ આંદોલનની નોંધ લેવાઇ રહી હતી તેથી ભારત સરકાર અકળાઇ ગઇ હતી.

આ સંજોગોમાં લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે એવો અહેવાલ આ અખબારે પ્રગટ કર્યો હતો. પાકિસ્તાને પોતાના લશ્કરને હાઇ એલર્ટ પર રાખ્યું હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરવામાં આવ્યો હતો.

અખબારે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી સરકાર ખેડૂત આંદોલન તરફથી સૌનું ધ્યાન બીજી દિશામાં વાળવા પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઇ દુઃસાહસ કરી શકે છે એ હકીકત ધ્યાનમાં રાખીને પાકિસ્તાને પોતાની ભારત તરફની સરહદો પર લશ્કરને હાઇ એલર્ટ પર તહેનાત કર્યું હતું. પંજાબી શીખ ખેડૂતો દ્વારા ચાલી રહેલા આ આંદોલનને ખાલિસ્તાની પરિબળોની મદદ મળે એવું પણ ભારત ઇચ્છતું નથી એટલે પાકિસ્તાને ભારતના દુઃસાહસ સામે સાબદા રહેવાની તાતી જરૂર હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n3Amdd
via IFTTT

ટિપ્પણીઓ નથી: