કોલકાતામાં વિમાન પર મધમાખીઓ ત્રાટકી, પ્રવાસીઓની બારી ઢંકાઇ ગઇ


- બે ફ્લાઇટ એક એક કલાક મોડી ઊપાડવી પડી

કોલકાતા. 2 ડિસેંબર 2020 બુધવાર

કોલકાતા એરપોર્ટ પર ઊભેલા અને ઊપડવાની તૈયારીમાં હતા એવા એક વિમાન પર લાખ્ખો મધમાખી ત્રાટકી હતી અને વિમાન પર બેસી ગઇ હતી. મધમાખીઓ એટલી મોટી સંખ્યામાં હતી કે પ્રવાસીઓની બારી ઢંકાઇ ગઇ હતી અને વિમાનમાં એટલા હિસ્સામાં ગાઢ અંધકાર છવાઇ ગયો હતો.

એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું કે વિસ્તારા એરલાઇન્સના આ વિમાન પર રવિવારે સાંજે અને સોમવારે પરોઢિયે એમ બે વખત મધમાખીઓ ત્રાટકી હતી. જો કે વિસ્તારા એરલાઇન્સ આ બાબતે જુદું વર્ઝન આપતું હતું. 

વિમાન પર મોટી સંખ્યામાં મધમાખીઓ બેઠી હતી, એમને ખસેડ્યા વિના વિમાન ઊડાવી શકાય એવી પરિસ્થિતિ નહોતી. એમને હટાવવા વૉટર જેટ સ્પ્રે કરવાની ફરજ પડી હતી. રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે ઊપડનારી ફ્લાઇટ સાડા છ વાગ્યે ઊપડી હતી. સોમવારે સવારે ફરી એકવાર વિસ્તારાના જ વિમાન પર લાખો મધમાખીઓ ફરી ત્રાટકી હતી. 

આ ફ્લાઇટ સવારે સાડા દસ વાગ્યે પોર્ટ બ્લેર તરફ રવાના થવાની હતી. ફરી એકવાર વૉટર સ્પ્રે જેટ વાપરવું પડ્યું હતું. આ ફ્લાઇટ સાડા અગિયાર વાગ્યે રવાના થઇ હતી.

એરપોર્ટના ડાયરેક્ટર કૌશિક ભટ્ટાચાર્યે કહ્યું કે વિસ્મયજનક વાત એ હતી કે એરપોર્ટની આસપાસ ક્યાંય મધપૂડો દેખાયો નહોતો. તો આટલી બધી મધમાખી આવી ક્યાંથી અને વિસ્તારાની જ ફ્લાઇટ પર કેમ બેસી ગઇ એ સમજાતું નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qndRSC
via IFTTT

ટિપ્પણીઓ નથી: