ખેડૂતો દ્વારા આજે ભારત બંધ, ઉત્તર ભારતમાં વધુ અસર


હરિયાણાના સરકારી કર્મચારીઓ, સ્કૂલ સંચાલકો, મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન બંધમાં જોડાશે

પંજાબમાં બધા જ પેટ્રોલ પંપ બંધ રહેશે, માત્ર ઇમર્જન્સી સેવાઓ માટે જ ઇંધણ આપશે 

બંધ બિન રાજકીય અને શાંતિપૂર્ણ રહેશે, કોઇ જ નેતાને મંચ પર નહીં આવવા દઇએ : ખેડૂતોનું એલાન

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

આઠમી તારીખે મંગળવારે ખેડૂતોએ સમગ્ર ભારત બંધનું એલાન કર્યું છે, જેને 10 ટ્રેડ યુનિયન, 15 જેટલા રાજકીય પક્ષો અને હવે બોલિવૂડ કલાકારો, ખેલાડીઓ, સાહિત્યકારો, વ્યાપારી સંગઠનો, પેટ્રોલ પંપ એસોસિએશન, રિક્ષા ચાલક સંગઠનો સહિતનાનું સમર્થન મળી રહ્યું છે.

મંગળવારે ખેડૂતોના દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને 13મો દિવસ થશે, જ્યારે ભારત બંધને પગલે જનજીવન પર અસર જોવા મળી શકે છે. કેમ કે ઉત્તર ભારતમાં 95 લાખ ટ્રકો ધરાવતા અસોસિએશને પણ ટેકો આપ્યો છે તેથી સપ્લાય ઠપ થઇ શકે છે. 

રાજકીય પક્ષો, ખેડૂતોના તેમજ ટ્રેડ યુનિયનના સંગઠનોએ ભારત બંધ દરમિયાન વિવિધ સૃથળે ધરણા પ્રદર્શન અને રેલીનું પણ આયોજન કર્યું છે. એશિયાની સૌથી મોટી સબજી મંડી આઝાદપુર સબજી મંડીએ પણ આંદોલનને સમર્થન આપી બંધ પાળવાની જાહેરાત કરી છે.

દિલ્હીમાં આવેલી આઝાદપુર મંડી સહિત દિલ્હીની બધી જ શાકભાજી મંડીઓએ એક દિવસ માટે કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે સાથે જ ઓલ દિલ્હી ઓટો-ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયને પણ ટેકો આપી બંધ સફળ બનાવવા એક દિવસ માટે કામકાજથી દુર રહેવાની જાહેરાત કરી છે. સાથે જ ઓલા અને ઉબેરના ડ્રાઇવર એસોસિએશને પણ બંધને ટેકો આપ્યો છે અને તેથી દિલ્હીમાં ઓલા અને ઉબેર એક દિવસ માટે બંધ રહેશે. 

દિલ્હી બાર કાઉન્સિલે પણ ટેકો આપ્યો છે અને દિલ્હીમાં વિવિધ કોર્ટોમાં વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે કેમ કે નવા કાયદા મુજબ ખેડૂતો માત્ર એસડીએમ સુધી ફરીયાદ કરી શકશે અને કોર્ટમાં મામલો નહીં જાય તેથી વકીલાતના વ્યવસાય પર પણ તેની અસર જોવા મળશે.  જ્યારે પંજાબમાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે. પંજાબમાં પેટ્રોલ પંપ ડિલર્સે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે બંધ પાળવાનું નક્કી કર્યું છે. 

સંગઠનના અધ્યક્ષ પરમજીતસિંહે કહ્યું છે કે પંજાબમાં બધા જ પેટ્રોલ પંપ બંધ રહેશે માત્ર ઇમર્જન્સી સેવા માટે ખુલા રાખવામાં આવશે. જ્યારે હાલ દેશમાં કેટલાક સૃથળોએ ધરણા પ્રદર્શન પણ ચાલી રહ્યા છે અને બંધના દિવસે રાજકીય પક્ષોએ, યુનિયનોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

લુિધયાણામાં પંજાબ ટ્રાંસપોર્ટ એસોસિએશનના પ્રમુખ ચરણજિતસિંહે કહ્યું કે ઓલ ઇંડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આઠમીએ ચક્કાજામનો નિર્ણય લીધો છે. પરિવહન યુનિયન, ટ્રક યુનિયન, ટેંપો યુનિયન દરેકે બંધને સફળ બનાવવા માટે કામકાજથી દુર રહેવાનું નક્કી કર્યું છે તેમ તેેમણે જણાવ્યું હતું.  

દિલ્હી હરિયાણા સિંધુ બોર્ડર પર આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના નેતા દર્શન પાલે કહ્યું છે કે ભારત બંધને શાંતિપૂર્વક પાળવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે, અમે અમારા મંચ પર કોઇ જ રાજકીય નેતાને સૃથાન નહીં આપીએ. કેટલાક રાજ્યોમા ંસ્કૂલ સંચાલકો પણ સમર્થનમાં આવ્યા છે અને બંધ પાળવામાં મદદ કરવાની જાહેરાત કરી છે. હરિયાણાના સરકારી કર્મચારી સંગઠનોએ ભારત બંધમાં સામેલ થવાનું એલાન કર્યું છે. 

રાષ્ટ્રીય એવોર્ડ પરત કરવા જતાં 35 ખેલાડીને અટકાવાયા

નવી દિલ્હી, તા. 7

ખેડૂતોના સમર્થનમાં સાહિત્યકારો, કલાકારોની સાથે ખેલાડીઓ પણ ઉતર્યા છે. બે વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા પૂર્વ ખેલાડી કર્તારસિંહની આગેવાનીમાં ખેલાડીઓએ 35 જેટલા નેશનલ એવોર્ડને સરકારને પરત કરવા માટે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી રેલીનું આયોજન કર્યું હતું અને બાદમાં આ એવોર્ડ પરત આપવાના હતા. જોકે તેમને પોલીસે વચ્ચે જ અટકાવી દીધા હતા અને એવોર્ડ પરત આપવા રાષ્ટ્રપતિ ભવન નહોતા જવા દેવાયા. જે ખેલાડીઓ એવોર્ડ પરત કરવા ગયા હતા તેમાં 35 જેટલા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સન્માનિત પણ હતા. બીજી તરફ પદ્મશ્રી પદ્મ વિભૂષણ વિજેતાઓ પણ સમર્થનમાં ઉતર્યા છે. જાણીતા પંજાબી કવી સુર્જિત પતારે પોતાને મળેલા પદ્મશ્રી એવોર્ડને પરત કરવાની જાહેરાત કરી છે. આ પહેલા અકાળી દળના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે પણ તેમને મળેલા પદ્મ વિભૂષણને પરત કરવાની જાહેરાત કરી હતી.  

રેલવે યુનિયનનો ખેડૂતોને ટેકો, બેંકો ચાલુ રહેશે

ભારત બંધ વચ્ચે બેંકોના યુનિયને પણ આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સહાનુભુતી વ્યક્ત કરી છે જોકે બેંકોનું કામકાજ શરૂ રાખવાની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ સંગઠન, ઓલ ઇન્ડિયા બેંક એપ્લ્યોઇઝ અસોસિએશને જાહેરાત કરી છે કે તેઓ ખેડૂતો પ્રત્યે સહાનુભુતી વ્યક્ત કરે છે પણ બેંકોનું કામકાજ શરૂ રાખવામાં આવશે. જોકે રેલવે યુનિયન એઆઇઆરએફએ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. સંગઠનના જનરલ સેક્રેટરી શીવા ગોપાલ મિશ્રાએ દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને કહ્યું હતું કે રેલવે યુનિયન ખેડૂતોની દરેક માગણીઓને ટેકો આપે છે. ખેડૂત નેતાઓએ પણ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઇ પણ વ્યાપારીની દુકાન કે સૃથળને બળજબરીથી બંધ નહીં કરાવે, સ્વેચ્છાએ લોકો જોડાય તે રીતે શાંતિ પૂર્વક બંધને સફળ બનાવવામાં આવે તેવી અપીલ કરી છે.  

પ્રિયંકા ચોપરા સહિત અનેક સેલિબ્રિટીનું પણ સમર્થન 

નવી દિલ્હી, તા. 7

આમ નાગરિકો, વ્યાપારી સંગઠનો, ટ્રેડ યુનિયનોની સાથે હવે બોલિવૂડ કલાકારો પણ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે. જાણીતી બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, દિલજિત દોસાંજ, હરભજનસિંહ, જસબિર જસ્સી, રિતેશ દેશમુખ, પ્રિતિ ઝિંટા, રિચા ચઠ્ઠા, સ્વરા ભાસ્કર, મોહમ્મદ જીશાન આયુબ, ગાયક ગીપ્પી ગ્રેવાલ, તાપસી પન્નુ, ચિત્રાંગદા સિંહ, ડાયરેક્ટર હંસલ મેહતા સહિતના અનેક નાના મોટા કલાકારો, ખેલાડીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી સમર્થન આપ્યું છે. પ્રિયંકા ચોપરાએ કહ્યું છે કે ખેડૂતોની ચિંતાઓ પર વહેલી તકે ધ્યાન આપવું જોઇએ. રિતેશ દેશમુખે કહ્યું કે તમે જો આજે ભોજન લઇ રહ્યો હોય તો ખેડૂતોનો આભાર માનવો જ પડે, હું દરેક ખેડૂતની સાથે છું, જય કિસાન. જ્યારે સિંગર ગીપ્પી ગ્રેવાલે બોલિવૂડના અન્ય કલાકારો હજુ પણ ખેડૂતોના સમર્થનમાં બોલે તેવી માગણી કરી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે પ્રિય બોલિવૂડ તમારી ફિલ્મોના શૂટિંગ માટે જ્યારે તમે પંજાબ જાવ છો ત્યારે તમારૂં તેઓ સ્વાગત કરે છે, આજે એ જ પંજાબી ખેડૂતોને તમારી જરૂર છે ત્યારે તમે મૌન છો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVAAmy
via IFTTT

ટિપ્પણીઓ નથી: