દેશમાં 24 કલાકમાં કોરોનાના 46 હજાર સાથે કુલ કેસ 1.16 કરોડ


મહારાષ્ટ્રમાં વધુ 24645 કેસો સામે આવતા તંત્ર દોડતુ થયું

કોરોના રસી કોવિશિલ્ડનો બીજો ડોઝ બે મહિનાના અંતરે આપી શકાશે : ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને કોરોના

નવી દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,951 કેસો સામે આવ્યા છે. જ્યારે માત્ર બે જ દિવસમાં કોરોનાના 90797 કેસો સામે આવી ચુક્યા છે. હાલ દેશભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,16,46,081એ પહોંચી ગઇ છે. હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 3,34,464એ પહોંચી ગઇ છે. જે સાથે જ રિકવરી રેટ ઘટીને 95.75 ટકાએ પહોંચી ગયો છે. 

પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં દેશના કુલ નવા કેસોના 80.5 ટકા કેસો સામે આવ્યા છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના નવા 24645 કેસો નોંધાયા છે જે દેશના કુલ કેસોના 65 ટકા જેટલા છે. જ્યારે 2644 કેસો સાથે પંજાબ બીજા ક્રમે અને 1875 કેસો સાથે પંજાબ ત્રીજા ક્રમે છે. એક્ટિવ કેસોમાં માત્ર 24 કલાકમાં જ 25,559નો વધારો થયો છે. 

ફાટેલા જીન્સ અને વધુ બાળકો પેદા કરવા જેવા નિવેદનોને કારણે વિવાદોમાં આવેલા અને તાજેતરમાં જ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બનેલા તીરથસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેઓએ પોતાને આઇસોલેટ કરી લીધા છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોનો કોરોના ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે. 

હાલ દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે અને પહેલા ડોઝના 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવે છે.  કોવીશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો જે સમયગાળો છે તેને ચારથી આઠ સપ્તાહ કરવા અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યો છે. હાલ આ સમયગાળો ચારથી છ સપ્તાહનો છે.  રસીકરણ વચ્ચે પણ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.  

છેલ્લા 24 કલાકમાં કોરોનાના જે નવા  46,951 કેસો સામે આવ્યા છે તે ગત વર્ષે નવેમ્બરના મધ્યમાં જેટલા કેસો સામે આવ્યા હતા તેના કરતા પણ વધુ છે. એટલે કે છેલ્લા ચાર મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cUjD8k
via IFTTT

ટિપ્પણીઓ નથી: