સ્થિતિ વણસી રહી છે, ધ્યાન રાખજો, છેલ્લા 24 કલાકમાં મૃતકઆંકમાં ભારે વધારો

- મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં વધી રહ્યા છે કેસ
નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર
દેશમાં કોરોના સંક્રમણમાં ભારે વધારો થઈ રહ્યો છે અને દરરોજ રેકોર્ડ સ્તરે નવા કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મહામારીએ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફરી કોરોના પર નિયંત્રણ મેળવવા માટે અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ સમાન 53,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે અને 354 દર્દીઓએ સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એક દિવસ પહેલાની સરખામણીએ કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં થયેલો વધારો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે બુધવારે આ વિગતો જાહેર કરી હતી. દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃતકઆંક પણ ફરી ઉંચો જઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મૃતકઆંક પણ વધી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડા સાથે 53,480 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,21,49,335 થઈ ગયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કુલ મૃતકઆંક 1,62,468એ પહોંચ્યો છે. આના પહેલા મંગળવારે 271 મૃતકઆંક નોંધાયો હતો ત્યારે એક જ દિવસમાં થયેલો આ વધારો ચિંતાજનક છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PpjZf8
via IFTTT
ટિપ્પણીઓ નથી: