497 દિવસ બાદ વિદેશ પ્રવાસે રવાના થયા PM મોદી, જાણો બાંગ્લાદેશ પ્રવાસનું મહત્વ

- બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલતું હશે ત્યારે વડાપ્રધાન મતુઆ સમુદાયના લોકોને મળશે
નવી દિલ્હી, તા. 26 માર્ચ, 2021, શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન PM મોદી બાંગ્લાદેશના પ્રવાસે રહેશે. વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસના રાજકીય અર્થ જણાઈ રહ્યા છે. તેઓ 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશની યાત્રા દરમિયાન મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચાંદ ઠાકુરના જન્મ સ્થળે જશે. 27 માર્ચના રોજ બંગાળમાં જ્યારે પ્રથમ તબક્કાના મત પડી રહ્યા હશે તે સમયે વડાપ્રધાન મતુઆ સમુદાયના લોકોને મળશે. જો રાજકીય એન્ગલને જતો કરીએ તો પણ વડાપ્રધાનનો બાંગ્લાદેશ પ્રવાસ અનેક રીતે ખાસ છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં મતુઆ સમુદાય એક મોટી વોટ બેંક છે અને 70 વિધાનસભા બેઠકો પર અસર ધરાવે છે. આ સંજોગોમાં વડાપ્રધાનના બાંગ્લાદેશ પ્રવાસના રાજકીય અર્થ નીકળે તે નક્કી જ છે. પશ્ચિમ બંગાળમાં જ્યારે પહેલા તબક્કાનું મતદાન ચાલતું હશે ત્યારે વડાપ્રધાન કોરોના કાળ બાદના પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે હશે અને તે પણ બંગાળ પાસે આવેલા બાંગ્લાદેશમાં.
જો કે, વડાપ્રધાનનો બંગાળ પ્રવાસ 3 કારણસર ચર્ચામાં છે. પહેલું, બાંગ્લાદેશ સ્વતંત્ર થવાની 50મી વર્ષગાંઠનો સમારંભ છે. બીજું, આ બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની જન્મ શતાબ્દીનું વર્ષ છે અને ત્રીજું, ભારત-બાંગ્લાદેશ ડિપ્લોમેટિક સંબંધોનું આ 50મું વર્ષ છે.
ઉલ્લેખનીય છે કે, ભારતની નેબરહુડ ફર્સ્ટ એન્ડ એક્ટ ઈસ્ટ પોલિસીના કારણે ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત થયા છે. મિત્રતાના કારણે કોરોના કાળમાં ભારતની વેક્સિનના સૌથી વધુ ડોઝ બાંગ્લાદેશને મળ્યા છે. બાંગ્લાદેશને મળેલા 90 લાખ વેક્સિન ડોઝમાં 20 લાખ ડોઝ ગ્રાન્ટ સ્વરૂપે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rm0MIs
via IFTTT
ટિપ્પણીઓ નથી: