UGC દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવેલા ઈતિહાસના નવા અભ્યાસક્રમ સામે સવાલ, ભગવાકરણનો આક્ષેપ

- વેદ, ઉપનિષદ જેવા ધાર્મિક સાહિત્યને અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2021, મંગળવાર
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા ડ્રાફ્ટ કરવામાં આવેલા ઈતિહાસના નવા અભ્યાસક્રમ સામે સવાલો થઈ રહ્યા છે. આયોગ દ્વારા સ્નાતક માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને લઈ વેબસાઈટ પર 28મી ફેબ્રુઆરી સુધીમાં લોકો પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. પરંતુ અનેક લોકોએ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડ્રાફ્ટ સામે સવાલો કર્યા છે. લોકોના કહેવા પ્રમાણે આયોગ દ્વારા અભ્યાસક્રમના ભગવાકરણનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જાણકારોના મતે આવું પહેલી વખત બની રહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણ નિયામક સામાન્ય દિશા-નિર્દેશ જાહેર કરવાના બદલે ઈતિહાસનો સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, યુજીસી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમમાં કોઈ યુનિવર્સિટી દ્વારા 20થી 30 ટકા જ પરિવર્તન કરવામાં આવશે. નવા ડ્રાફ્ટ અભ્યાસક્રમ પ્રમાણે હવે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ઈતિહાસ (ઓનર્સ)ના પહેલા પેપરમાં 'આઈડિયા ઓફ ભારત' ભણાવવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પ્રમાણે નવા અભ્યાસક્રમમાં મુસ્લિમ શાસનના મહત્વને ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને વૈદિક કાળ, હિંદુ ધાર્મિક ગ્રંથો સાથે સંકળાયેલા અને મિથક ઉમેરવામાં આવ્યા છે. વેદ, ઉપનિષદ જેવા ધાર્મિક સાહિત્યને અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ડ્રાફ્ટ સિલેબસના ત્રીજા પેપરમાં પ્રાચીન ઈતિહાસમાં સિંધુ-સરસ્વતી સભ્યતા બતાવવામાં આવી છે. તેના પતનના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેદોમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ મળે છે પરંતુ ઈતિહાસમાં તેની વ્યાખ્યા વિવાદિત રહી છે.
'ભારતનો સાંસ્કૃતિક વારસો' નામના 12મા પેપરમાં 'રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલી સાંસ્કૃતિક વારસાની પરંપરા' જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના આક્ષેપ પ્રમાણે નવા અભ્યાસક્રમમાં આક્રમણકારી શબ્દનો પ્રયોગ ફક્ત મુસ્લિમ શાસકો માટે કરવામાં આવ્યો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પણ આક્રમણકારી નથી ગણાવી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3caQSop
via IFTTT
ટિપ્પણીઓ નથી: