અર્થ અવરઃ દિલ્હીવાસીઓએ આ વખતે એક કલાકમાં બચાવી સૌથી વધારે વીજળી, જાણો કેટલી


- દર વર્ષે માર્ચ મહિનાનો અંતિમ શનિવાર અર્થ અવર તરીકે ઉજવાય છે

નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર

પૃથ્વીને બચાવવા માટે દિલ્હીમાં શનિવારે અર્થ અવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે દિલ્હીવાસીઓએ રાતે 8:30થી 9:30 કલાક સુધી બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ રાખ્યા હતા. સ્વેચ્છાએ અર્થ અવરમાં સામેલ થયેલા દિલ્હીવાસીઓએ 334 મેગાવોટ વીજળી બચાવી હતી. જ્યારે ગત વર્ષે લોકડાઉન દરમિયાન લોકોએ પોતાના ઘરે અને કાર્યસ્થળોએ બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ કરીને 79 મેગાવોટ વીજળી બચાવી હતી. 

અર્થ અવર દરમિયાન ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, મંદિરો અને અન્ય સરકારી કાર્યાલયોની લાઈટ અને વીજ ઉપકરણો બંધ કરવામાં આવ્યા હતા. લોકોએ પોતાના ઘર અને કાર્યસ્થળોએ બિનજરૂરી લાઈટ્સ અને વીજ ઉપકરણો બંધ કરી દીધા હતા. કોરોના જેવી મહામારી દરમિયાન ચોંકાવનારા જળવાયુ પરિવર્તને ધરતીનું સંકટ વધારી દીધું છે. અચાનક બદલાતું વાતાવરણ, તાપમાન, અણધાર્યો વરસાદ અને કમોસમી આંધી-તોફાનથી સચેત દિલ્હીવાસીઓએ અર્થ અવરમાં ભાગ લીધો હતો. 

દિલ્હીમાં વીજ વિતરણ કરતી ટાટા પાવર કંપનીએ પોતાના વિસ્તારમાં 71 મેગાવોટ વીજળીની બચત કરી હતી. તે ઉપરાંત બીઆરપીએલએ 120 મેગાવોટ, બીવાયપીએલએ 79 મેગાવોટ વીજળીની બચત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્ચ મહિનાનો અંતિમ શનિવાર અર્થ અવર તરીકે ઉજવાય છે. તેમાં વિશ્વના 180 કરતા વધારે દેશોના લોકો રાતે 8:30થી 9:30 કલાક દરમિયાન પોતાના ઘરોની લાઈટ બંધ કરીને ઉર્જાની બચત કરે છે. 

છેલ્લા વર્ષોમાં બચાવવામાં આવેલી વીજળીના આંકડા

- 2020માં આશરે 79 મેગાવોટ

- 2019માં આશરે 279 મેગાવોટ

- 2018માં આશરે 305 મેગાવોટ

- 2017માં આશરે 290 મેગાવોટ

- 2016માં આશરે 230 મેગાવોટ

- 2015માં આશરે 200 મેગાવોટ



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rx96VE
via IFTTT

ટિપ્પણીઓ નથી: