પ્રેમી પંખીડાઓ, કુંવારા યુગલની રક્ષા કરશે દિલ્હી સરકાર, કરી આ ખાસ વ્યવસ્થા

- મહિલા આયોગના વર્તમાન ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 181 પર જ સ્પેશિયલ સેલ 24 કલાકના હેલ્પલાઈન તરીકે કામ કરશે
નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર
આંતરજાતિય કે આંતરધાર્મિક વિવાહ કરનારા યુગલ અથવા તો લગ્ન વગર સાથે રહેનારા જે યુગલનો વિરોધ તેમના પરિવાર, સ્થાનિક સમુદાય કે ખાપ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેમને ઉત્પીડન અને પ્રતાડનથી બચાવવા માટે કેજરીવાલ સરકાર આગળ આવી છે.
આવા યુગલને ઉત્પીડનથી બચાવવા અને સુરક્ષા પૂરી પાડવા માટે દિલ્હી સરકારે સ્પેશિયલ સેલની રચના કરવા નિર્દેશ આપ્યો છે. આ મામલે એક SOP પણ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર આવા યુગલને પોતાના 'સેફ હાઉસ'માં આવાસની સુવિધા આપશે.
દિલ્હી મહિલા આયોગના વર્તમાન ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 181 પર જ સ્પેશિયલ સેલ 24 કલાકના હેલ્પલાઈન તરીકે કામ કરશે. મુશ્કેલીમાં હોય તેવા આંતરજાતિય કે આંતરધાર્મિક વિવાહ કરનારા યુગલ આ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
આ હેલ્પલાઈન સંભાળતી ટેલિકોલર્સને આ પ્રકારના કોલ્સના પ્રબંધન માટે પ્રશિક્ષિત કરવામાં આવી છે. તેઓ સંકટનો સામનો કરી રહેલા યુગલને મદદ કે સલાહ તરીકે ઉપલબ્ધ કરી શકાય તેવી જરૂરી સેવાઓની જાણકારી ધરાવે છે. ઉપરાંત જરૂર પડશે તો ટેલિકોલર્સને આવા કોલના પ્રબંધન માટે વધુ પ્રશિક્ષિત કરવામાં આવી શકે છે.
કોલર્સની માહિતી ગુપ્ત રખાશે
જે રીતે સંકટમાં મુકાયેલી મહિલાઓની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે તેવી જ રીતે આવા કોલર્સની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવશે. કોલ રીસિવ થયા બાદ સૌથી પહેલા યુવક અને યુવતી પુખ્ત છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે અને બાદમાં DCPને માહિતગાર કરવામાં આવશે. DCP આવા યુગલ અંગેની વિગતોની ચકાસણી કરીને તેમને સેફ હાઉસમાં પહોંચાડવાની જરૂર અંગે DMને જાણ કરશે. તે યુગલને પણ જોખમથી માહિતગાર કરાશે અને સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેમને સુરક્ષિત રાખવામાં આવશે. જો તેઓ સેફ હાઉસમાં રહેવા ન માંગતા હોય તો તેઓ રહેતા હોય ત્યાં થ્રેટ પરસેપ્શનના આધાર પર સુરક્ષા પૂરી પડાશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cq3NTM
via IFTTT
ટિપ્પણીઓ નથી: