મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર, વાશિમ ખાતેની હોસ્ટેલમાં 190 વિદ્યાર્થીઓ સંક્રમિત

- વાશિમ જિલ્લામાં બુધવારે કોરોનાના 318 નવા કેસ નોંધાયા
પુણે, તા. 25 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. વાશિમ જિલ્લાના દેગાંવ ખાતેની એક હોસ્ટેલમાં એક સાથે 190 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. વાશિમ જિલ્લામાં બુધવારે કોરોનાના 318 નવા કેસ નોંધાયા હતા જેમાં 190 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
જાણવા મળ્યા મુજબ દેગાંવ ખાતેની આશ્રમશાળામાં ભણતા વિદ્યાર્થીઓ ત્યાંની હોસ્ટેલમાં જ રહે છે અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતી ખાતેથી જ થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે પ્રચંડ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 8,807 કેસ નોંધાયા છે જે 18 ઑક્ટોબર બાદનો સૌથી ઉંચો આંકડો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 દર્દીઓના મોત થયા છે જે છેલ્લા 56 દિવસમાં સૌથી ઉંચો આંકડો છે. અગાઉ 30 ડિસેમ્બરના રોજ 90 સંક્રમિતોએ દમ તોડ્યો હતો.
મહારાષ્ટ્રમાં વિદર્ભના શહેરો અને મુંબઈમાં ખૂબ જ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે. મુંબઈમાં 119 દિવસ બાદ કોરોનાના કેસનો આંકડો 1,000ને પાર ગયો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uvjwb5
via IFTTT
ટિપ્પણીઓ નથી: