ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ મમતાના ગુંડાઓનો આતંક, બીજેપીના ચૂંટણી રથમાં કરી તોડફોડ


- કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છેઃ કૈલાશ વિજયવર્ગીય

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી, 2021, શનિવાર

5 રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ તેની સૌથી વધારે અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. કોલકાતામાં ચૂંટણીની તારીખોની જાહેરાત બાદની પ્રથમ હિંસાની ઘટના પણ સામે આવી છે. કડાપારા વિસ્તારમાં કેટલાક અજ્ઞાત લોકોએ ભાજપ વિરૂદ્ધનો રોષ ઉતારવા માટે મોડી રાતે પરિવર્તન રથ પર હુમલો કર્યો હતો. જો કે, ભાજપે ટીએમસીના કાર્યકરો સામે હુમલાનો આક્ષેપ કર્યો છે અને તેમની ગાડીઓ, તેમાં લાગેલા એલઈડી ટીવીમાં ભારે તોડફોડ થઈ હોવાનો દાવો કર્યો છે. 

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાવાની સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચેનું ઘમસાણ તેજ થયું છે. મોડી રાતે થયેલી આ હિંસક ઘટના બાદ બંને દળ વચ્ચેની અથડામણને ફરી હવા મળી છે. ચૂંટણી પંચે બંગાળમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી તે સાથે જ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ ડર્યા વગર રાતે 11 વાગે ભાજપના કડાપારા ગોડાઉનમાં ઘૂસીને LED ગાડીઓમાં તોડફોડ કરી હતી અને LED કાઢીને લઈ ગયા હતા. 

બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો હતો અને 'કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર આપ્યો છે' તેવી ટેગલાઈન લખી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ચૂંટણી પંચે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 8 તબક્કામાં ચૂંટણી યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હિંસક ઘટનાઓ પર લગામ કસવાનો હતો પરંતુ બંને પક્ષ વચ્ચે જે રસાકસી જામી છે તેમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37S3JJX
via IFTTT

ટિપ્પણીઓ નથી: