દેશમાં 100 દિવસમાં પ્રથમ વખત કોરોનાના નવા કેસ 35 હજારને પાર

પંજાબના નવ જિલ્લામાં રાત્રી કરફ્યૂમાં બે કલાકનો વધારો
24 કલાકમાં વધુ 172 લોકોના મોત સાથે મૃત્યુઆંક 1,59,216ને પાર : મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ મોખરે
નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 કેસો સામે આવ્યા છે જે 102 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી વધુ છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 1,14,74,605ને પાર પહોંચી ગયો છે. દરમિયાન એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને હવે 2,52,364એ પહોંચી ગઇ છે જે કુલ કેસોના 2.20 ટકા છે. રીકવરી રેટ પણ ઘટીને હવે 96.41 ટકાએ આવી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 172 લોકોના મોત નિપજ્યા છે જ્યારે દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો કુલ આંકડો 1,59,216ને વટાવી ગયો છે. છેલ્લે ગત વર્ષે છ ડિસેમ્બરના રોજ કોરોનાના દૈનિક 36,011 કેસો સામે આવ્યા હતા. એટલે કે 102માં આજે પહેલી વખત દૈનિક કેસોનો આંકડો 35 હજારને પાર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કોરોનાના 23 કરોડથી પણ વધુ ટેસ્ટ કરાયા છે જ્યારે બુધવારે એક જ દિવસમાં વધુ 10,63,379 ટેસ્ટ કરાયા હતા. જે 172 લોકોના મોત નિપજ્યા છે તેમાં 84 મહારાષ્ટ્રમાં, 35 પંજાબમાં, 13 કેરળના છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં એક 38 વર્ષના મજૂર લાલમણીનું કોરોનાની રસી લીધાના બે દિવસ બાદ મોત નિપજ્યું છે. મોતનું કારણ બ્રેઇન હેમરેજ હોવાનો દાવો ડોક્ટરોએ કર્યો છે.
મહારાષ્ટ્ર બાદ પંજાબમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને પગલે પંજાબના નવ જિલ્લામાં રાત્રી કરફ્યૂમાં બે કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે. સાથે જ સીએમ અમરિંદસિંહે વધુ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દ્વારા માગ કરાઇ છે કે વકીલો અને જજોેને હાલ અપાય રહેલી રસીમાં પ્રાથમિક્તા આપવામાં આવે.
જેનો કેન્દ્રએ વિરોધ કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે વકીલોની માગ અંગે વિચારણા કરવામાં આવે. રસી આપવાની હાલની પ્રક્રિયા મંદ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે કહ્યું છે કે હાલની ગતી પ્રમાણે જો રસી આપવામાં આવતી રહી તો કોરોના વાઇરસની જ જીત થશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r1nQvC
via IFTTT
ટિપ્પણીઓ નથી: