કોલકાતાની ન્યૂ કોયલાઘાટ ઈમારતમાં આગ, 9ના મોત, રેલવેની ટિકિટ બુકિંગ સેવા પ્રભાવિત


- વડાપ્રધાને અને મમતા બેનર્જીએ મૃતકો માટે સહાય જાહેર કરી

નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2021, મંગળવાર

પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્ટ્રૈંડ રોડ પર આવેલી ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગના 13મા માળે સોમવારે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને બિલ્ડિંગમાં ઈસ્ટર્ન રેલવેનું કાર્યાલય આવેલું હોવાથી રેલવેની ટિકિટ બુકિંગ સેવા પ્રભાવિત થઈ છે. આગ લાગવાના કારણે પેસેન્જર રિઝર્વેશન સર્વિસ (PRS) સર્વરનો પાવર કટ કરી દેવામાં આવ્યો હતો જેથી આગ પર જલદી કાબૂ મેળવી શકાય. 

રેલવે મંત્રી પિયૂષ ગોયલે આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો અને રેલવે તરફથી રાજ્ય સરકારને તમામ સંભવિત મદદનું આશ્વાસન આપ્યું હતું. આ દુર્ઘટનામાં ફાયર વિભાગના 4 કર્મચારીઓ, રેલવેના બે કર્મચારીઓ અને એક ASI સહિત કુલ 9 લોકોના મોત થયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. 

ઘટના સ્થળે પહોંચી ગયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ગ્રેસની રકમ તથા પરિવારના એક સદસ્યને નોકરી આપવાની જાહેરાત કરી હતી. સાથે જ તે ઈમારત રેલવેની છે અને રેલવેએ બિલ્ડિંગનો નકશો ઉપલબ્ધ નહોતો કરાવ્યો તેવો આક્ષેપ કર્યો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PPHNJj
via IFTTT

ટિપ્પણીઓ નથી: