એંટિલિયા કેસઃ મૃત્યુનું રહસ્ય બન્યું વધુ ગાઢ, માસ્કની અંદર ઠુંસેલા હતા અનેક રૂમાલ

- શબના બંને હાથ બંધાયેલા હોવાનો વિપક્ષી નેતા ફડણવીસનો દાવો
નવી દિલ્હી, તા. 6 માર્ચ, 2021, શનિવાર
રિલાયન્સ જૂથના માલિક મુકેશ અંબાણીના ઘર પાસેથી જિલેટીન સ્ટીક ભરેલી ગાડી મળી આવી હતી જેના માલિકનું શંકાસ્પદ મોત થયું છે. સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના મૃત્યુનું રહસ્ય વધારે ગાઢ બની રહ્યું છે. જ્યારે મુંબ્રા ખાડીમાંથી મનસુખનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેમણે માસ્ક પહેરેલું હતું અને માસ્કમાં 6-7 રૂમાલ ઠુંસવામાં આવેલા હતા.
આ કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર કોઈ પણ પ્રકારના ઘાનો ઉલ્લેખ નથી. પ્રાથમિક રિપોર્ટમાં પાણીમાં ડૂબવાથી મોત થયું હોવાનું જણાવાયું છે અને ATSએ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
વાઘમારે અને ભગવાન પંડિત નામના બે યુવાનોના કહેવા પ્રમાણે તેઓ જ્યારે લઘુશંકા માટે ગયા ત્યારે તેમણે કિનારા પર શબ જોયું હતું જેથી 100 નંબર પર ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસ અને ફાયરબ્રિગેડે ક્રેનની મદદથી શબ બહાર કાઢ્યું હતું.
તે સમયે જ્યારે હિરેનનું માસ્ક કાઢવામાં આવ્યું તો અંદર અનેક રૂમાલ ઠુંસેલા હતા. આ તરફ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે હિરેનનું શબ ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેના બંને હાથ બાંધેલા હતા તેવો દાવો કર્યો છે. સાથે જ શું કોઈ બંને હાથ બાંધીને આત્મહત્યા કરી શકે તેવો સવાલ પણ કર્યો છે.
મૃતદેહ સ્વીકારવા ઈનકાર
શનિવારે બપોર બાદ હિરેનનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવાની કવાયત હાથ ધરાઈ હતી. પરંતુ તેમના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવીને શબ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોના કહેવા પ્રમાણે મનસુખના નાક પર ઉંડા ઘા છે જેનો રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો. થાણેના વેપારી સંઘે પણ આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v1wJZy
via IFTTT
ટિપ્પણીઓ નથી: