બરાબર એક વર્ષ બાદ માર્ચના આગમન સાથે જ વધવા લાગ્યું કોરોના સંક્રમણ

- અન્ય દેશમાં વાયરસે તાપમાન ઘટવા સાથે ગતિ પકડેલી, ભારતમાં વિપરિત સ્થિતિ
નવી દિલ્હી, તા. 5 માર્ચ, 2021, શુક્રવાર
માર્ચ 2020માં જ્યારે કોરોના સંક્રમણે પોતાનો પગ પસારવાનું શરૂ કર્યું તો થોડા દિવસોમાં જ લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. બરાબર એક વર્ષ પછી ફરી તેવી જ સ્થિતિ નિર્માણ પામી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. માર્ચમાં વધી રહેલા તાપમાન સાથે કોરોના વાયરસની અસર પણ પહેલા જેવી જણાઈ રહી છે.
નિષ્ણાંતોનું માનીએ તો ઈટાલી, ફ્રાંસ, અમેરિકા અને બ્રિટન સહિત અનેક દેશોમાં કોરોના વાયરસે ઓછું તાપમાન ધરાવતી ઋતુમાં ગતિ પકડી હતી પરંતુ ભારતમાં તેનાથી વિપરિત અસર દેખાઈ રહી છે.
ગત વર્ષે માર્ચથી સપ્ટેમ્બર મહિના દરમિયાન દરરોજ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 1,000થી વધીને 99,000 સુધી પહોંચી ગઈ હતી. તે સમયે દેશમાં દરરોજ 1,000 કરતા પણ વધારે લોકોનું સંક્રમણના કારણે મોત થઈ રહ્યું હતું. પરંતુ જેમ જેમ વાતાવરણ પલટાયું તેમ તેમ કોરોના વાયરસનું સ્વરૂપ પણ નબળું પડવા લાગેલું. આશરે 5 મહિના સુધી નિયંત્રણમાં રહ્યા બાદ ફરી દેશના 8 રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા એટલે નિષ્ણાંતોએ અભ્યાસ શરૂ કરી દીધો છે. આગામી 3 સપ્તાહ બાદ આ અભ્યાસ સામે આવશે જેનાથી ભારતમાં કોરોના સંક્રમણની હવામાન પર શું અસર છે તે જાણી શકાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જન સ્વાસ્થ્ય નિષ્ણાંત માનસ પ્રતિમ રૉયના અભ્યાસ પ્રમાણે વાયરસ પર હવામાનની ખૂબ જ અસર પડે છે. તેમણે 14 સપ્તાહના આંકડાનો અભ્યાસ કરવાની સાથે સાથે તે સમય દરમિયાન તાપમાનમાં આવેલા ફેરફારોને પણ ગાણિતીક મોડલના આધારે સામેલ કરીને તેનો પણ અભ્યાસ કર્યો હતો. કોલકાતા, ભોપાલ અને બેંગલુરૂના તાપમાનનો અભ્યાસ કરીને તેમણે ત્યાં હવામાન સાથે કોરોના વાયરસમાં ઉતાર ચઢાવ જણાયો હોવાનું કહ્યું હતું.
30 ડિગ્રી તાપમાને કોરોના ગતિશીલ
CMCના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ગગનદીપ કાંગના મતે ભારતમાં કોરોના વાયરસ માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સૌથી મહત્વનું છે. 25થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તે વધવા લાગે છે અને જેમ જેમ તાપમાન 35 ડિગ્રી આસપાસ પહોંચે છે વાયરસનો નેચર તેજ થવા લાગે છે.
જો કે, ભીષણ ગરમી વાયરસને વધારી શકે કે નહીં તે એક તથ્ય છે અને તે અંગે કોઈ અભ્યાસ નથી થયો. પરંતુ નિષ્ણાંતો સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેના એ નિવેદનનું ખંડન જરૂર કરે છે જેમાં તેમણે તડકો ખાવાથી કોરોના વાયરસ નહીં થાય તેમ કહેલું. ડો. કાંગના કહેવા પ્રમાણે હાલ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પંજાબની જે સ્થિતિ જણાઈ રહી છે તે જોતા 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાયરસને વધારવા કાફી છે તે સ્પષ્ટ થાય છે.
હવામાન સાથે લોકોનો વિશ્વાસ પણ કારણ
નીતિ આયોગના સદસ્ય ડો. વીકે પોલના કહેવા પ્રમાણે વાયરસના ઉતાર ચઢાવમાં હવામાન કે તાપમાન એક કારણ હોઈ શકે છે પરંતુ તે સિવાય પણ એક કારણ છે. લોકોનો અતિ વિશ્વાસ પણ આપણને ક્યાંકને ક્યાંક જોખમમાં મુકી શકે છે. દિલ્હી સહિતના અનેક સ્થળોએ લોકોના વ્યવહારમાં અચાનક આવેલો ફેરફાર જોઈ શકાય છે. લોકોએ હાલ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે પરંતુ તેઓ ભીડનો હિસ્સો બની રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PsmE7y
via IFTTT
ટિપ્પણીઓ નથી: