મહારાષ્ટ્ર વસૂલી કાંડ : અનિલ દેશમુખને રાજીનામુ આપવાની જરુર નથી, શરદ પવારના ઘરે મળેલી બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી, તા. 21 માર્ચ 2021, રવિવાર
ગઇકાલે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહના લેટર બોમ્બના કારણે મહારાષ્ટ્રમાં રાજકિય ભૂકંપ આવ્યો છે. પરમવીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યા છે કે તેમણે પોલીસ અધિકારીઓને દર મહિને 100 કરોડની ઉઘરાણીનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારબાદ અનિલ દેશમુખના રાજીનામાની માંગ ઉઠી હતી. આ બધી અટકળો વચ્ચે આજે દિલ્હીમાં એનસીપી ચીફ શરદ પવારના ઘરે મહારાષ્ટ્ર સરકારના ગઠબંધન નેતાઓની બેઠક મળી હતી.
આ બેઠકની અંદર કોંગ્રેસ તરફથી કમલનાથન સામેલ થયા હતા. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે પણ શરદ પવાર સાથએ મુલાકાત કરી હતી. શરદ પવારના ઘરે થેયલી આ બેઠક બાદ જયંત પાટીલે કહ્યું કે ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની જરુર નથી. તેમણે કહ્યું કે જે પણ દોષી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. એટીએસ અને એનઆઇએ આ કેસની તપાસ કરી રહી છે.
જયંત પાટીલે કહ્યું કે રાજ્ય સરકાર સારી રીતે તપાસ કરશે, ગમે તેટલો મોટો અધિકારી હશે તો પણ તેને છોડવામાં નહીં આવે. આ લેટર વડે તપાસને વિચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યારે અનિલ દેશમુખના રાજીનામાની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે શરદ પવારના ઘરે એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રમના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર હતા. આ સિવાય પ્રફુલ્લ પટેલ અને જયંત પાટીલ જેવા મોટા નેતાઓ પણ બેઠકમાં સામેલ થયા છે. આ બેઠક લગભગ 3 કલાક લાંબી ચાલી હતી. આ બેઠક બાદ જયંત પાટીલે કહ્યું કે ગૃહમંત્રીના રાજીનામાની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નરે અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો બાદ મહારાષ્ટ્ર સરકાર સંકટમાં આવી છે. તેવામાં આજે શરદ પવારના ઘરે યોજાયેલી આ બેઠક પર સૌની નજર રહેલી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NCUxlz
via IFTTT
ટિપ્પણીઓ નથી: