બંગાળમાં ભાજપના સાંસદના ઘર પાસે બોમ્બ વડે હુમલો, CCTV કેમેરા પણ તોડી નખાયા


- ભાજપે હુમલાની ઘટના ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવા નિર્ણય લીધો

નવી દિલ્હી, તા. 18 માર્ચ, 2021, ગુરૂવાર

બંગાળમાં ચૂંટણી પ્રચારની સાથે જ સતત હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉત્તરી 24 પરગણાના જગદલ ખાતે ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 લોકો ઘાયલ થયા છે. હુમલો થયો તે સ્થળ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરથી સાવ નજીક આવેલું છે જેથી ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે. 

બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે જણાવ્યું કે, 3 લોકોએ તેમના સાથીદારો સાથે મળીને આશરે 15 સ્થળોએ બોમ્બ ફેંક્યા હતા અને પોલીસ દ્વારા લગાવવામાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પોલીસ અધિકારી એસીપી એપી ચૌધરીએ આ હુમલામાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી. 

TMC એટલે હિંસાનું રાજકારણઃ વિજયવર્ગીય

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આ હુમલાના અનુસંધાને ટીએમસી 'હિંસાના રાજકારણનો પર્યાય' છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આચારસંહિતા લાગુ થયા બાદ પણ ગુંડાઓ દ્વારા બોમ્બમારો અને ગોળીઓનો વરસાદ ચાલુ છે. ચૂંટણી પંચે આ ઘટનાને ચેતવણી તરીકે લેવી જોઈએ નહીં તો મતદાન શાંતિપૂર્ણ રીતે થશે કે નહીં તે પણ શંકા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rXzfxT
via IFTTT

ટિપ્પણીઓ નથી: