આગામી વર્ષથી દિલ્હી-NCR સહિત દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુકાશે પ્રતિબંધ


- દેશમાં વાર્ષિક 16 લાખ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય છે

નવી દિલ્હી, તા. 13 માર્ચ, 2021, શનિવાર

આગામી 01 જાન્યુઆરી, 2022થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગી જશે. એટલું જ નહીં, 120 માઈક્રોન સુધીની જાડાઈવાળા પ્લાસ્ટિક બેગ અને 240 માઈક્રોન સુધીની જાડાઈવાળા નોનવુવન બેગનો ઉપયોગ પણ બંધ થઈ જશે. પ્લાસ્ટિકના કચરાના દુષ્પ્રભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ અંગેના નોટિફિકેશનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ ડ્રાફ્ટ અંગે લોકોની મુશ્કેલીઓ અને સૂચનો જાણવા માટે ગુરૂવારથી 60 દિવસ માટે તેને પબ્લિક ડોમેનમાં લાવવામાં આવ્યો છે. ત્યાર બાદ તેનું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન કાર્યાલયે પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત કરવાને અનુલક્ષીને બેઠક રાખી હતી. તે બેઠકમાં માઈક્રો પ્લાસ્ટિક એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનો ઉપયોગ જાન્યુઆરી 2022 સુધીમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તેના પહેલા 50 માઈક્રોન સુધીની પ્લાસ્ટિક બેગ અને વસ્તુઓ પર પ્રતિબંધ મુકવાનો જ નિયમ હતો. દેશભરમાં સમાન રીતે લાગુ થનારા આ નવા નિયમો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સંશોધન) નિયમ, 2021 તરીકે ઓળખાશે. 

DPCCનું આકરૂ વલણ

દિલ્હીમાં પર્યાવરણ વિભાગના વિશેષ સચિવ કે.એસ. જયચંદ્રને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) તથા દિલ્હી પાર્ક એન્ડ ગાર્ડન સોસાયટીના નામે આદેશ પણ જાહેર કરી દીધા છે. 

વાર્ષિક 16 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના સર્વે રિપોર્ટ પ્રમાણે દેશમાં વાર્ષિક 16 લાખ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે દિલ્હીમાં તે આંકડો વાર્ષિક 800 ટન જેટલો છે. 

યાદીમાં આ વસ્તુઓનો સમાવેશ

ડિસ્પોઝેબલ ક્રોકરી, પીવાના પાણીના પેક્ડ ગ્લાસ, થર્મોકોલ અને પ્લાસ્ટિકથી બનેલી સજાવટની તમામ વસ્તુઓ, પ્લાસ્ટિકની થેલીઓ, 50 મિમી કે 50 ગ્રામ સામાનવાળા પ્લાસ્ટિકના પાઉચ, ફુગ્ગા, ઝંડા, ટેટ્રાપેકના પાઈપ, પેકિંગ માટેની પ્લાસ્ટિક શીટ, 500 મિમીસુધીના તરલ પદાર્થોવાળી પ્લાસ્ટિકની હલકી બોટલ્સ વગેરે.

અનેક વર્ષ સુધી નથી થતો નાશ

પર્યાવરણ નિષ્ણાંતોના અહેવાલ પ્રમાણે જમીનમાં રહીને સડી ન જાય તેવું પ્લાસ્ટિક ભૂજળને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકની બોટલ્સ અને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ 450 વર્ષ બાદ પણ નાશ નથી પામતી. પ્લાસ્ટિકના ઢાંકણાને સંપૂર્ણપણે નાશ પામતા 400 વર્ષ જ્યારે માછલી પકડવા માટેની પ્લાસ્ટિકની જાળીને 650 વર્ષ લાગી જાય છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eCZeXE
via IFTTT

ટિપ્પણીઓ નથી: