ભારત વિરોધી એજન્ડા માટે કાશ્મીરી વિદ્યાર્થીઓને ડિગ્રી આપે છે પાકિસ્તાનઃ NIA


- જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ભણવા ગયેલા છે તેમાંથી મોટા ભાગના કોઈ પૂર્વ આતંકવાદીના સંબંધી 

નવી દિલ્હી, તા. 4 માર્ચ, 2021, ગુરૂવાર

પાકિસ્તાન સરકાર પોતાના ભારત વિરોધી એજન્ડાને આગળ વધારવા માટે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓને MBBS, એન્જિનિયરીંગ સહિતની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ આપે છે. ડૉક્ટર અને એન્જિનિયર બનવા માટે પાકિસ્તાન પહોંચનારા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં જિહાદી અને અલગાવવાદી માનસિકતાને પ્રોત્સાહન આપી તેમને આતંકવાદી અને અલગાવવાદી બનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાનના આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. 

આતંકવાદીઓ, હુર્રિયત અને પાક.નું નાપાક ગઠબંધન

તપાસ એજન્સીના અહેવાલ પ્રમાણે આતંકવાદીઓ, હુર્રિયત કોન્ફરન્સ અને પાકિસ્તાન સરકાર વચ્ચે એક ત્રિપક્ષીય ગઠબંધન છે જે પાકિસ્તાન તરફ ઝુકાવ રાખનારા કાશ્મીરી ડૉક્ટર, એન્જિનિયરની એક ફોજ તૈયાર કરવામાં લાગેલું છે. 

નેતાઓ દ્વારા વીઝા માટે મદદ

કટ્ટરપંથી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની અને ઉદારવાદી હુર્રિયત નેતા મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂક અને તેમના અનેક સાથીદારો પાકિસ્તાનમાં કાશ્મીરી વિદ્યાર્થીઓના દાખલાનો પ્રબંધ કરતા આવ્યા છે. કાશ્મીરી વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમની ભલામણના આધારે સરળતાથી પાકિસ્તાન માટેના વીઝા મળતા હતા. 

આતંકવાદીઓ સાથે તાર

તપાસમાં મળેલા અહેવાલ પ્રમાણે જે વિદ્યાર્થીઓ પાકિસ્તાન ભણવા ગયેલા છે તેમાંથી મોટા ભાગના કોઈ પૂર્વ આતંકવાદીના સંબંધી છે અથવા તો કોઈ સક્રિય આતંકવાદી સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છે. તે સિવાય હુર્રિયત નેતાઓ કાશ્મીરના કેટલાક પ્રભાવશાળી પરિવારના બાળકોને પાકિસ્તાનની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજમાં દાખલો અપાવવાની આડમાં તેમના પાસેથી મોટી રકમ પણ મેળવે છે. આ પૈસાનો મોટો હિસ્સો આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓ માટે ખર્ચ થાય છે. 

દસ્તાવેજ દ્વારા સત્યનો ખુલાસો

અલગાવવાદી નેતા નઈમ ખાનના ઘરની તલાશી દરમિયાન કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો એક કાશ્મીરી વિદ્યાર્થીને પાકિસ્તાનમાં MBBSના અભ્યાસ માટે પ્રવેશ અપાવવાની ભલામણ સંબંધિત હતા. તેમાં વિદ્યાર્થી માટે તે અને તેનો પરિવાર પાકિસ્તાનના સમર્થક છે અને કાશ્મીરની આઝાદી માટે સંકલ્પબદ્ધ છે તેમ જણાવવામાં આવેલું હતું. 

અલગાવવાદીઓની દુકાન બંધ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર કેસને ધ્યાનમાં લીધો હતો અને તપાસ એજન્સીને આ સમગ્ર નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું. ત્યારથી જમ્મુ કાશ્મીરથી ગુલામ કાશ્મીર કે પાકિસ્તાનમાં MBBS કે એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bcTKAF
via IFTTT

ટિપ્પણીઓ નથી: