ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ આર. એચ. શુક્લ નવા લોકાયુક્ત બને એવી શક્યતા
ગુજરાતના લોકાયુક્ત પદે ગુજરાત હાઇકોર્ટના રિટાયર્ડ જજ આર એચ શુક્લની નિમણૂંકની જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આ માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે અને સત્તાવાર રીતે આવતાં સપ્તાહમાં જસ્ટિસ શુક્લની નિમણૂંક કરવામાં આવશે. જસ્ટિસ શુક્લ એ જ જજ છે જેમણે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો સામનો કરી રહેલા ગુજરાતના તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રીને શરતી જામીન આપ્યા હતા. ઓક્ટોબર 2010માં અમિત શાહને જસ્ટિસ શુક્લએ શરતી જામીન આપ્યા હતા.
ગુજરાતના આ પૂર્વે નિમાયેલાં લોકાયુક્ત જસ્ટિસ ડી પી બુચની પાંચ વર્ષની અવધિ ડિસેમ્બર 2018માં પૂર્ણ થયાં બાદ દોઢ વર્ષ જેટલાં સમયથી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને રોકવા કાર્યરત સંસ્થા એવી લોકાયુક્તની કચેરીનું આ સ્થાન ખાલી રહ્યું છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારનો લોકાયુક્ત કમિશનનો નવો કાયદો હજુ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફાય થયો ન હોવાથી જૂના કાયદા પ્રમાણે જ નવા લોકાયુક્તની નિમણૂંક થશે. આથી સમગ્ર લોકાયુક્ત કમિશનની નિમણૂંક થશે નહીં.
કોણ છે જસ્ટિસ શુક્લ
1981માં વકીલાતનો વ્યવસાય અપનાવ્યા બાદ તેમણે 1982થી ગુજરાત સરકારના પેનલ પરના ખાસ વકીલના પ્રતિનિધી તરીકે કામ કર્યું છે. 1994માં તેઓ અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ જજ બન્યા. અમદાવાદમાં 1988માં થયેલાં પ્લેનક્રેશના કેસમાં ભોગ બનનારાં લોકોને વળતર આપવાનો ચૂકાદો પણ તેમણે સંભળાવ્યો હતો. નવેમ્બર 2007માં ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયમૂર્તિ, મે 2009માં તેઓ કાયમી જજ બન્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hWQE5s
via IFTTT
ટિપ્પણીઓ નથી: