સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માનતા હતા કે વડા પ્રધાન મોદીએ અસંમતિનો સૂર સાંભળવો જોઇએ


- પોતાના અંતિમ પુસ્તકમાં લખી ગયા

નવી દિલ્હી તા.6 જાન્યુઆરી 2021 બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાથે સંમત ન હોય એવા અસંમતિના સૂર પણ સાંભળવા જોઇએ એવું સદ્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માનતા હતા.

પોતાના અંતિમ પુસ્તકમાં પ્રણવદાએ આ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે સંસદમાં વડા પ્રધાનની હાજરીથી કામકાજમાં ઘણો ફરક પડે છે. વડા પ્રધાને દેશને લગતી તમામ સમસ્યાઓ વિશે વિપક્ષોને વિશ્વાસમાં લઇને બોલવું જોઇએ. સંસદમાં વડા પ્રધાનનો અવાજ સદા સંભળાતો રહેવો જોઇએ..

પ્રણવદાએ રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાનાં સંસ્મરણો ધ પ્રેસિડેન્શ્યલ યર્સ 2012-217 પુસ્તકમાં મુક્ત મને કેટલાક વિચારો રજૂ કર્યા હતા. પોતાના નિધન પહેલાં ગયા વરસે તેમણે આ પુસ્તક પૂરું કર્યું હતું.

મંગળવારે એનું પ્રકાશન થયું હતું. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે, ’ પંડિત જવાહર લાલ નહેરુ હોય કે ઇંદિરા ગાંધી હોય, અટલ બિહારી વાજપેયી હોય કે પછી મનમોહન સિંઘ હોય, આ દરેકે સંસદમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.’

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ પ્રણવદાએ લખ્યું છે, ’વડા પ્રધાન તરીકેના પોતાના આ બીજા કાર્યકાળમાં શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના પુરોગામી વડા પ્રધાનેાનાં કામમાંથી પ્રેરણા લેવી જોઇએ. પહેલા કાર્યકાળમાં જે સંસદીય સંકટ આપણે સૌએ જોયું હતું એમાંથી બચવા માટે વડા પ્રધાને પોતાની હાજરી સતત રાખવી જોઇએ.

વડા પ્રધાન મોદીએ અસંમતિનો સૂર પણ  સાંભળવો જોઇએ  અને સંસદમાં બને તેટલી વધુ વખત બોલતાં રહેવું જોઇએ. વિપક્ષોને સમજાવવા અને દેશને પરિસ્થિતિથી વાકેફ રાખવા સંસદનો એક મંચ તરીકે ઉપયોગ કરીને સતત બોલતાં રહેવું જોઇએ.’

પ્રણવદાએ એનડીએ સરકારના પ્રથમ કાર્યકાળ 2014-2019 વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે સંસદને સુચારુ રૂપે અને યોગ્ય કામકાજ માટે સુનિશ્ચિત કરવાની જવાબદારી અદા કરવામાં એનડીએ નિષ્ફળ નીવડ્યો હતો એમ લખ્યું છે.

‘સરકાર અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને હું સરકારના અહંકાર તથા પરિસ્થિતિને સંભાળી ન શકવા માટે જવાબદાર ગણું છું. જો કે વિપક્ષ પણ ઓછો બિનજવાબદાર નથી. વિપક્ષે પણ બેજવાબદારીપણું દેખાડ્યું હતું’ એમ પ્રણવદાએ લખ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XcOdCm
via IFTTT

ટિપ્પણીઓ નથી: