પોંડિચેરી ફ્લોર ટેસ્ટઃ શું નારાયણસામીની સરકાર બચશે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે? છે આ 4 વિકલ્પ

- AIADMKના 4 ધારાસભ્યો પર કોંગ્રેસની નજર
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી, 2021, સોમવાર
કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં આજે મુખ્યમંત્રી વી. નારાયણસામી માટે સાચી પરીક્ષાની ઘડી છે. ઉપરાજ્યપાલ ટી. સુંદરરાજને આજે સાંજે 5 કલાક સુધીમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. વર્તમાન રાજકીય સમીકરણો અને વિધાનસભાનું ગણિત નારાયણસામી માટે સરકાર બચાવવી મુશ્કેલ થશે તે તરફ ઈશારો કરે છે. 4 ધારાસભ્યોના રાજીનામા બાદ નારાયણસામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર સંકટમાં મુકાઈ છે.
પોંડિચેરીનું રાજકીય સંકટ બે રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચેની લડાઈનું પરિણામ છે. મુખ્યમંત્રી વી. નારાયણસામીએ 18 ફેબ્રુઆરીના રોજ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય જનતા પાર્ટી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પાડવા પ્રયત્ન કરી રહી છે. આખરે શું છે પોંડિચેરીનું રાજકીય ગણિત, શું દર્શાવે છે આંકડાઓ અને એ કયા 4 વિકલ્પો છે તેની સંભાવના જણાઈ રહી છે. ચાલો, આ તમામ બિંદુઓને વિસ્તારથી સમજવા પ્રયત્ન કરીએ...
પહેલો વિકલ્પઃ સરકાર પડી ભાંગશે
રવિવારે મોડી સાંજે વધુ થોડા ધારાસભ્યોના રાજીનામા બાદ વર્તમાન સરકારની હાલત ખૂબ જ કથળી છે. આ સાથે જ ફ્લોર ટેસ્ટમાં વી. નારાયણસામીની સરકાર પડી જશે તેવું લાગી રહ્યું છે. વિધાનસભામાં કુલ 33 સદસ્યો છે પરંતુ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ વિધાનસભાની કુલ સંખ્યા ઘટીને 26 થઈ ગઈ છે. વર્તમાન અહેવાલ પ્રમાણે કોંગ્રેસ અને ડીએમકે પાસે કુલ 12 ધારાસભ્યો છે જેમાં તેમને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન પણ મળેલું છે. જ્યારે વિપક્ષી ગઠબંધન પાસે કુલ 14 ધારાસભ્યો છે.
બીજો વિકલ્પઃ સ્પીકર કેટલાક ધારાસભ્યોને ડિસક્વોલિફાઈ કરે
પોંડિચેરી કોંગ્રેસ સતત ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું હોવાનો આરોપ મુકી રહી છે. કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ ભાજપ તેમની સરકાર પાડવા ષડયંત્ર કરી રહી હોવાનો દાવો કરી રહ્યા છે. આ સંજોગોમાં સ્પીકર કેટલાક ધારાસભ્યોને ડિસક્વોલિફાઈ કરે તેવી સંભાવના છે. જો આવું બને તો ધારાસભ્યોની કુલ સંખ્યા ઘટી શકે છે અને નારાયણસામીની સરકાર બચી શકે છે.
ત્રીજો વિકલ્પઃ વિપક્ષના ધારાસભ્યો પર કોંગ્રેસની નજર
પોંડિચેરીમાં હાલ અનેક પ્રકારની હલચલ જણાઈ રહી છે. મુખ્યમંત્રી વી. નારાયણસામી વિપક્ષના કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરી લે તેવું પણ અનુમાન છે. AIADMKના 4 ધારાસભ્યો પર કોંગ્રેસની નજર છે અને અનેક દિગ્ગદ નેતાઓ હાલ આ ધારાસભ્યો સાથે વાતચીત ચાલુ હોવાનો દાવો કરી રહ્યા છે. જો ડીલ થઈ જશે તો તે ચારેય ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં હાજર નહીં રહે. આ સંજોગોમાં વોટિંગ દરમિયાન વિધાનસભામાં 26 કરતા પણ ઓછા સદસ્યો બચશે અને સરકાર બચી શકશે.
ચોથો વિકલ્પઃ રાષ્ટ્રપતિ શાસન
પોંડિચેરીમાં રાષ્ટ્રપતિ શાસનની સંભાવનાઓને પણ નકારી ન શકાય. તે પણ એક વિકલ્પ છે. લેફ્ટનન્ટ ગવર્નર તમિલસાઈ સુંદરરાજન તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. એક અહેવાલ પ્રમાણે જો ભાજપને એમ લાગશે કે સ્થિતિ તેમના પક્ષમાં નથી તો રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થઈ શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર કાયદા અને વ્યવસ્થાનો હવાલો આપીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ueuzoW
via IFTTT
ટિપ્પણીઓ નથી: