નેપાળ અને શ્રીલંકામાં BJP સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ વિપ્લવ દેવ


- અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે આ નિવેદન આપ્યું હોવાનો દાવો

અગરતલા, તા. 15 ફેબ્રુઆરી, 2021, સોમવાર

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવ ફરી એક વખત પોતાના ચિત્ર-વિચિત્ર નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. અગરતલા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ભાજપ માત્ર ભારતમાં જ નહીં પણ પાડોશી દેશોમાં વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહ્યું છે તેવો દાવો કર્યો હતો. તેમણે નેપાળ અને શ્રીલંકાને લઈને ભાજપની કથિત મહત્વકાંક્ષાઓનો ખુલાસો કર્યો હતો. 

વિપ્લવ દેવે જણાવ્યું કે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે પોતે નેપાળ અને શ્રીલંકામાં પોતાની સરકાર બનાવવાની યોજના ધરાવે છે તેમ કહ્યું હતું. મુખ્યમંત્રી વિપ્લવ દેવે 2018માં અમિત શાહ સાથે થયેલી વાતચીતનો હવાલો આપીને અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે તેમણે આ વાત કહી હતી એમ જણાવ્યું. 

વિપ્લવ દેવના કહેવા પ્રમાણે અમિત શાહે તે વખતે પાર્ટીની એક બેઠકમાં ભારતના તમામ રાજ્યોમાં વિજય બાદ વિદેશી વિસ્તારને લઈને ચર્ચા કરી હતી. એ ઘટનાને યાદ કરતા વિપ્લવ દેવે કહ્યું કે, "બેઠકમાં અજય જમ્વાલે અનેક રાજ્યોમાં ભાજપે પોતાની સરકાર બનાવી લીધી હોવાનું કહ્યું તેના જવાબમાં અમિત શાહે હવે શ્રીલંકા અને નેપાળમાં વિસ્તાર કરવાનો છે તેમ કહ્યું હતું."

ઉપરાંત મુખ્યમંત્રી વિપ્લવ દેવે આગામી નાણાંકીય વર્ષના બજેટની પ્રશંસા કરીને તેને આત્મનિર્ભર દક્ષિણ એશિયા બનાવવાની દિશામાં એક પગલું ગણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે ભારતની નીતિઓ અને કાર્ય બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવા સક્ષમ છે. 

મુખ્યમંત્રી વિપ્લવ દેવના નિવેદન બાદ વિપક્ષી પાર્ટી CPM અને કોંગ્રેસે તેમના વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. બંને પાર્ટીએ વિપ્લવ દેવના આ નિવેદનને સૌથી અપ્રજાતંત્રવાદી ગણાવ્યું હતું. સાથે જ અમિત શાહને વિદેશોમાં પોતાની સરકાર બનાવવાની યોજનાના દાવા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rWIEWm
via IFTTT

ટિપ્પણીઓ નથી: