ચીને પાઈરસી રોકવાના નામે હિન્દ મહાસાગરમાં કદાવર જહાજ તૈનાત કર્યું

નવી દિલ્હી, તા. 16 ફેબ્રૂઆરી, 2021, મંગળવાર
ચીને પાઈરસી રોકવા માટે હિન્દ મહાસાગરમાં કદાવર જહાજ તૈનાત કર્યું છે. જહાજની ક્ષમતાં જોતા એ એન્ટિ-પાઈરસી માટે છે કે પછી બીજા કોઈ ઉદ્દેશ માટે એ સવાલ પેદા થયો છે.
ચીને રવાના કરેલું જહાજ 7200 ટન વજન ધરાવતું ચાંગશા ગાઈડેડ મિસાઈલથી સજ્જ છે. એ ઉપરાંત તેના પર નાના-મોટા ઘણા હથિયારો ગોઠવાયેલા છે. એટલે લદ્દાખમાં સ્થિતિ થાળે પાડીને ચીન ક્યાંક હિન્દ મહાસાગરમાં ઉંબાડિયું કરવા નથી માંગતું ને એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
ચીની જહાજો સંશોધન અને સર્વે માટે નિયમિત રીતે હિન્દ મહાસાગરમાં આવે છે. સંશોધન હેતુથી ફરતાં જહાજો સામાન્ય રીતે ગમે તે દરિયાઈ વિસ્તારમાં આવન-જાવન કરે તેની સામે વાંધો હોતો નથી. પણ ચીની જહાજો સંશોધનના બહાને જાસૂસી કરતા હોવાનું ભુતકાળમાં જણાયુ છે.
પાઈરસી-ચાંચીયાગીરી રોકવા માટે વિવિધ દેશો વારા પ્રમાણે પોતાના જહાજો તૈનાત કરતા હોય છે. પરંતુ ચીને અત્યારે તૈનાત કરેલું જહાજ સાવ નવું છે. એટલે ચીન પાઈરસીના બહાને આ જહાજનો પ્રયોગ પણ કરવા માંગતુ હોય એમ બની શકે. લદ્દાખમાં ટેન્શન ઉભું કરવા પાછળ ચીનનો મૂળ ઈરાદો હિન્દ મહાસાગરમાં પ્રભુત્વ જમાવવાનો છે. કેમ કે હિન્દ મહાસાગર જગતનો સૌથી મોટો વેપારી જહાજો પસાર થતા હોય એવો વિસ્તાર છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u6SbMk
via IFTTT
ટિપ્પણીઓ નથી: