RBIની નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહી
નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
RBIએ શુક્રવારે નવી ક્રેડિટ પોલીસીની સમિક્ષા કરી છે. મધ્યસ્થ બેંકે આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યાં નથી. બજેટ બાદ મધ્યમ વર્ગને ફરી એકવાર નિરાશા સાંપડી છે. RBI ગવર્નર શશીકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં નવી ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી.
RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેથી રેપો રેટ હજુ પણ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર રહેશે. RBIએ આગામી નાણાંકિય વર્ષ 2021-22માં GDPમાં 10.5%ના વધારાનું અનુમાન લગાવ્યું હતું.
RBIની MPCએ પોતાની દ્વિમાસિક સમિક્ષા બેઠકમાં કોઈ પણ પ્રકારના વ્યાજદરોમાં ફેરફાર કરવાનો ઈનકાર કરી દીધો છે. કમિટિએ રેપો રેટ 4% પર જ રાખ્યો છે. બજેટ રજુ થયાં બાદ MPCની આ પહેલી બેઠક હતી. બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું કે કમિટિએ સર્વસમ્મતિથી રેપોરેટમાં ફેરફાર નહી કરવાનો નિર્ણય કર્યો છે.
RBI ગવર્નરે જણાવ્યું કે, ધીમે-ધીમે ઘરોના વેચાણમાં સુધારો થયો છે. સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ફરી એકવાર રિકવર થઈ રહી છે. હાલમાં જ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તેનાથી રોકાણની સ્થિતિ સુધરવાની આશા છે. શશીકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જાન્યુઆરી-માર્ચ વચ્ચે મોંઘવારી દર 5.2% રહી શકે છે.
RBI ગવર્નરે આગામી નાણાંકિય વર્ષ 2021-22માં GDPમાં 10.5%ની વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 2021ની શરૂઆતમાં જ આર્થિક વૃદ્ધિને લઈને પરિદૃશ્ય પોઝિટિવ થયું છે અને અર્થવ્યવસ્થા પુનરુદ્ધારના સંકેત મજબૂત થયાં છે. તેમણે કહ્યું આ સમયની માંગ છે કે વિકાસને મજબૂત કરવામાં આવે. મોંઘવારી 4%ના સંતોષજનક સ્તરે આવી ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, RBI ગવર્નર શશીકાંત દાસની આગેવાનીવાળી 6 સભ્યોની MPCની બેઠક 3જી ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. ત્રણ દિવસની બેઠક બાદ MPCના નિર્ણયોની આજે જાહેરાત કરવામાં આવી. RBI ગત વર્ષ ફેબ્રુઆરી થી અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 1.15%નો ઘટાડો કરી ચુક્યું છે. પરંતુ છેલ્લી ત્રણ બેઠકોમાં RBIએ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36G54mb
via IFTTT
ટિપ્પણીઓ નથી: