ભારતની કોવેક્સિનને મંજૂરી આપનારો ત્રીજો દેશ બન્યો નેપાળ

- વડાપ્રધાન મોદીએ ભારત બાયોટેકની વેક્સિનનો ડોઝ લઈને તેના સાથે જોડાયેલી શંકાઓ પર પૂર્ણવિરામ મુકેલું
નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2021, શનિવાર
નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને શુક્રવારે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે. ભારતમાં 26,000 લોકો પરની અંતિમ તબક્કાની ટ્રાયલમાં કોવેક્સિન 81 ટકા જેટલી સફળ રહી છે. ભારત અને આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેએ પહેલેથી જ આ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધેલી છે.
નેપાળા ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભારતીય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે શરતી મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. નેપાળને અત્યાર સુધીમાં ભારત તરફથી એસ્ટ્રાજેનેકાના 23 લાખ ડોઝ મળી ચુક્યા છે. તે પૈકીના 10 લાખ ડોઝ ભારતે નેપાળને ભેટમાં આપ્યા હતા. ચીને પણ તે કોરોના વેક્સિનના 8 લાખ ડોઝ નેપાળને આપશે તેવું વચન આપેલું છે.
નેપાળે આ મંજૂરી એવા સમયે આપી છે જ્યારે તેના પાસેના કોરોના વેક્સિન ડોઝ ખતમ થઈ ગયા છે અને વેક્સિનેશન રોકી દેવું પડ્યું છે. નેપાળના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા જગેશ્વર ગૌતમે વેક્સિન નહીં મળે ત્યાં સુધી રસીકરણ અભિયાન બંધ રહેશે તેમ જણાવ્યું હતું.
આ દરમિયાન ભારત બાયોટેકે તેની કોરોના વાયરસ વેક્સિનમાં 40 દેશોએ રૂચિ દર્શાવી હોવાનો દાવો કર્યો હતો. આ વેક્સિનને બ્રાઝિલ ફિલિપિન્સ અને થાઈલેન્ડમાં મંજૂરી અપાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકની કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે જ તેમણે કોવેક્સિન સાથે સંકળાયેલા સંદેહો પર પૂર્ણવિરામ મુકીને એક તીરથી અનેક નિશાન સાધ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eUMQT6
via IFTTT
ટિપ્પણીઓ નથી: