નવો વિવાદઃ તીરથ સિંહ રાવતના મંત્રીએ આપી મહિલાઓને ઘરમાં રહેવાની સલાહ


- ગણેશ જોશીના મતે બાળકો કલાકો સુધી જે ટીવી કાર્યક્રમો જોવે છે તેની અસરથી બચાવવા મહિલાઓએ ધ્યાન આપવું જોઈએ

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2021, શનિવાર

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ફાટેલા જીન્સની ફેશન મુદ્દે જે નિવેદન આપેલું તેનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યાં તેમના મંત્રી ગણેશ જોશી પણ પોતાના નિવેદનને લઈ વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. ગણેશ જોશીએ 'મહિલાઓએ ઘરમાં રહીને બાળકોની સંભાળ રાખવી જોઈએ' તેમ કહ્યું હતું. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટરના માધ્યમથી ગણેશ જોશીના આ નિવેદનની ટીકા કરી છે. ત્યાર બાદ ગણેશ જોશીએ તેમના કહેવાનો અર્થ મહિલાઓએ ઘરમાં રહી બાળકો પર ધ્યાન આપવું જોઈએ તેવો થાય છે તેમ સ્પષ્ટતા કરી હતી. 

પ્રશાંત ભૂષણની ટ્વીટનો જવાબ આપતા તેમણે તેઓ દરેક જગ્યાએથી હારી ગયા છે તેમ કહ્યું હતું. ગણેશ જોશીએ કહ્યું કે, તેમના કહેવાનો અર્થ એવો થતો હતો કે, બાળકો જ્યારે ઘરમાં કલાકો એકલા હોય છે તો તેઓ ટીવી પર અનેક એવા કાર્યક્રમો જોવે છે જેથી તેમના મનમાં પણ એવું જ કરવાની ઈચ્છા થાય છે. માટે મહિલાઓએ ઘરમાં વધુ સમય આપીને પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. 

મુખ્યમંત્રીના જીન્સવાળા નિવેદન મામલે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, બધું તમારા વિચારો પર નિર્ભર કરે છે અને જીન્સ પહેરવામાં કશું જ ખોટું નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ તીરથ સિંહે પોતાના મહિલાઓ અંગેના નિવેદન મામલે દેશભરની મહિલાઓની માફી માંગી હતી. ત્યારે તેમના મંત્રી ગણેશ જોશીએ જીન્સ પહેરવામાં કશું ખોટું નથી તેમ કહ્યું હતું અને સાથે જ મહિલાઓને ઘરમાં રહેવાની સલાહ પણ આપી હતી. 

ગણેશ જોશીને શું તેઓ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નિવેદન સાથે સહમત છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે બધું પોતાના વિચાર પર નિર્ભર કરે છે કે કોઈ શું વિચારે છે તેમ કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, તેમને પણ એક દીકરી છે અને તેઓ કદી તેના વસ્ત્રોને લઈ કોઈ સવાલ નથી કરતા. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c2LXpG
via IFTTT

ટિપ્પણીઓ નથી: