એન્ટિલિયા કેસમાં તિહાડ કનેક્શનઃ આતંકવાદીઓએ બનાવી હતી ટેલિગ્રામ ચેનલ


- TOR નેટવર્ક દ્વારા ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવેલી જે ડાર્ક વેબના વપરાશ માટે ઉપયોગી

નવી દિલ્હી, તા. 11 માર્ચ, 2021, ગુરૂવાર

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ ખાતે આવેલા નિવાસ સ્થાન એન્ટિલિયાની બહારથી થોડા દિવસો પહેલા જિલેટિન સ્ટીક ભરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. આ કારને ત્યાં મુકવાની જવાબદારી કથિત આતંકવાદી જૂથ જૈશ ઉલ હિંદે લીધી હતી. હકીકતે એક ખાનગી સાઈબર એજન્સીના અહેવાલ પ્રમાણે દિલ્હીની તિહાડ જેલમાંથી એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તેમાં જૈશ ઉલ હિંદ દ્વારા આની જવાબદારી સ્વીકારવામાં આવી છે. 

આ ખાનગી સાઈબર એજન્સીએ તપાસ એજન્સીને એક ફોન ટ્રેક કરવા કહ્યું હતું. તે ફોનમાંથી જ ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. તપાસ એજન્સીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ કેન્દ્રીય એજન્સીઓએ આ માહિતી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપી છે. 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદી મામલાઓની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે વાહન માલિકના મોત અને 25મી ફેબ્રુઆરીએ અંબાણીના ઘર બહારથી વાહન મળી આવ્યું તે પહેલા તેની કથિત ચોરી અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

રિપોર્ટ પ્રમાણે TOR નેટવર્ક દ્વારા ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી જેનો ઉપયોગ ડાર્ક વેબના વપરાશ માટે કરવામાં આવે છે. જે સિમ કાર્ડ વડે આ કરવામાં આવેલું તેનું લોકેશન તિહાડ જેલનું આવી રહ્યું છે. ડાર્ક વેબ ઈન્ટરનેટનો એક એવો હિસ્સો છે જેને ફક્ત TOR જેવા અનામી નેટવર્કના માધ્યમથી એક્સેસ કરી શકાય છે અને પરંપરાગત સર્ચ એન્જિન પરથી નથી કરી શકાતું. 

રિપોર્ટ પ્રમાણે 26 ફેબ્રુઆરીએ બપોરે 3:20 કલાકે ચેનલ બનાવવામાં આવી હતી. એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવીની જવાબદારી લેતો મેસેજ આ ટેલિગ્રામ ચેનલમાં 27 ફેબ્રુઆરીની રાતે મોકલવામાં આવ્યો હતો. 28મી ફેબ્રુઆરીએ અન્ય એક ચેનલમાં જૈશ ઉલ હિંદનો તેમાં કોઈ હાથ ન હોવાનો દાવો કરતો મેસેજ મોકલવામાં આવ્યો હતો. સાથે જ તે મેસેજ પણ જૈશ ઉલ હિંદ દ્વારા ન મોકલાયો હોવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસને આ મેસેજ દેશની બહારથી મોકલવામાં આવ્યો હોવાની શંકા છે. જો કે હજુ સુધી તેનું લોકેશન ટ્રેસ નથી થઈ શક્યું. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vm7ilN
via IFTTT

ટિપ્પણીઓ નથી: