પર્વ અને પરંપરાઃ આજે ઘાટીમાં કાશ્મીરી પંડિતોના ઘરે જઈને શુભેચ્છા પાઠવશે મુસ્લિમો

- કાશ્મીરી પંડિતો ગામ છોડીને કેમ્પમાં રહેતા હોવાથી કળશમાં તાજા પાણીને બદલે નળનું પાણી ભરવું પડે છે
નવી દિલ્હી, તા. 11 માર્ચ, 2021, ગુરૂવાર
આતંકવાદથી પ્રભાવિત કાશ્મીરની ઘાટીઓમાં વસતા કાશ્મીરી પંડિતોના સૌથી મોટા મહાશિવરાત્રીના પર્વ પર સલામી પાઠવીને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાનું પાલન કરશે. મુસ્લિમ પરિવારો શિવરાત્રી વખતે કાશ્મીરી પંડિતોના ઘરે જઈને તેમને શુભેચ્છા પાઠવે છે અને ભાઈચારાની મિસાલ સમાન પરંપરા નિભાવે છે. આશરે 3 દશકા કરતા પણ વધારે સમયથી વિસ્થાપનનો ડંખ સહી રહેલા કાશ્મીરી પંડિતો મહાશિવરાત્રી વખતે તમામ પરંપરાઓનું પાલન કરે છે.
આ બધા વચ્ચે આતંકવાદના ઓથાર વચ્ચે પણ ઘાટી ન છોડનારા પંડિતો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પર્વની ઉજવણી કરે છે. આ સંજોગોમાં મુસ્લિમ સમુદાયના લોકોની આ પ્રકારે ભાગીદારી સાચી કાશ્મીરિયતનું પ્રમાણ આપે છે. પંડિતોના કહેવા પ્રમાણે આ પરંપરા હજુ પણ ચાલી રહી છે અને તે જ કાશ્મીરિયત, માણસાઈની સુંદરતા છે.
શિવરાત્રી વખતે કાશ્મીરી પંડિતો ભગવાન ભૈરવની પૂજા કરે છે અને તેમને માંસ-માછલીનો ભોગ ચઢાવવાની પરંપરાનું પાલન કરે છે. પ્રદેશ સરકાર દ્વારા માછલી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય પરંપરાગત શાકાહારી ભોગ પણ ચઢે છે જેમાં 5-6 પ્રકારના શાક હોય છે. રાતે પૂજા-અર્ચના બાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.
અનેક સદીઓથી ચાલતી પરંપરામાં હવે થોડા ફેરફાર પણ આવ્યા છે. પહેલા ગામમાં કળશ દ્વારા તાજું પાણી લાવવામાં આવતું હતું પરંતુ હવે ગામ છોડીને કેમ્પમાં રહેતા હોવાથી નળના પાણીનો ઉપયોગ કરવો પડે છે. ઘરોમાં માટીના કળશમાં ભોગ લગાવાય છે જેથી ભગવાન ભોળાનાથના જાનૈયાઓની સરભરામાં કોઈ અભાવ ન રહી જાય. પ્રસાદમાં અખરોટ એટલા માટે ધરાવાય છે કારણ કે, તેમાં 4 પેશી હોય છે જે 4 વેદોનો આભાસ કરાવે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cn4Xhw
via IFTTT
ટિપ્પણીઓ નથી: