અજાનના કારણે અલાહાબાદ યુનિ.ના VCની ઊંઘને પહોંચે છે ખલેલ, કાર્યવાહીની માંગ


- સંગીતા શ્રીવાસ્તવે પોતે કોઈ સંપ્રદાય, વર્ગ કે જાતિની વિરૂદ્ધ નથી તેવી સ્પષ્ટતા કરી

નવી દિલ્હી, તા. 17 માર્ચ, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આવેલી અલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિની એક ચિઠ્ઠી ખૂબ ચર્ચામાં છે. યુનિવર્સિટીના પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે સ્થાનિક ડીએમને ચિઠ્ઠી લખીને મસ્જિદમાં થતી અજાનના કારણે તેમની ઊંઘને ખલેલ પહોંચતી હોવાની ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહીની માંગ કરી છે. 

પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને ઉદ્દેશીને મોકલેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, રોજ સવારે આશરે 5:30 કલાકે મસ્જિદમાં અજાન થાય છે. તેવામાં લાઉડસ્પીકરના મોટા અવાજના કારણે તેમની ઊંઘને ખલેલ પહોંચે છે. કુલપતિની ફરિયાદ પ્રમાણે અજાનથી ઊંઘને ખલેલ પહોંચે છે અને પછી ફરી ઊંઘ નથી આવતી. આ કારણે આખો દિવસ માથું દુખે છે અને કામકાજ પર પણ તેની અસર પડે છે. આ ચિઠ્ઠી 3 માર્ચના રોજ લખવામાં આવી હતી. 

જો કે, કુલપતિએ ચિઠ્ઠીમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કોઈ સંપ્રદાય, વર્ગ કે જાતિની વિરૂદ્ધ નથી. સાથે જ એક કહેવતનો ઉલ્લેખ કરતા એમ પણ લખ્યું હતું કે, તમારી સ્વતંત્રતાનો ત્યાં અંત આવે છે જ્યાંથી મારૂ નાક ચાલુ થાય છે. સંગીતા શ્રીવાસ્તવે ચિઠ્ઠીમાં વિનંતી કરી છે કે, અજાન લાઉડસ્પીકર વગર પણ થઈ જ શકે જેથી બીજી કોઈ વ્યક્તિની દિનચર્યા પર તેની અસર ન પડે. હવે ઈદ પહેલા સવારે 4 વાગે સહરીનું એલાન થશે જેથી તેમની મુશ્કેલી વધી શકે છે. 

સંગીતા શ્રીવાસ્તવે પત્રમાં લખ્યું હતું કે, ભારતના બંધારણમાં પણ તમામ વર્ગ માટે પંથનિરપેક્ષતા અને શાંતિપૂર્ણ સૌહાર્દની પરિકલ્પના કરવામાં આવી છે. સાથે જ અલાહાબાદ હાઈકોર્ટના આદેશનો પણ હવાલો આપ્યો છે. 

તેમણે ડીએમ ઉપરાંત કમિશનર, આઈજી અને ડીઆઈજીને પણ આ ચિઠ્ઠી મોકલી હતી. ડીઆઈજી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા એક લેટર મળ્યો હતો અને સંબંધિત અધિકારીને તપાસ બાદ કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ડીએમ ભાનુ ચંદ્ર ગોસ્વામીએ પણ નિયમાનુસાર કાર્યવાહીની વાત કરી છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cHS8hY
via IFTTT

ટિપ્પણીઓ નથી: