અર્થતંત્રમાં સુધારો કેવી રીતે? નોબેલ વિજેતા મુહમ્મદ યુનૂસ સાથે આજે રાહુલ ગાંધી કરશે વાત


નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

કોરોના વાયરસ સંકટ અને અર્થતંત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદ સતત ચાલુ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે (શુક્રવારે) બાંગ્લાદેશના એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક મુહમ્મદ યુનૂસ સાથે વાતચીત કરશે. આ દરમિયાન કોરોના સંકટના કારણે અર્થતંત્ર, બેન્કિંગ ક્ષેત્ર અને સામાન્ય લોકોના જીવન પર શું અસરો થઈ તે અંગે મંથન કરવામાં આવશે. 

મુહમ્મદ યુનૂસ કોણ છે?

બાંગ્લાદેશમાં ગરીબોના મદદગાર ગણાતા મુહમ્મદ યુનૂસને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. બાંગ્લાદેશમાં ગ્રામીણ બેન્કને લઈ તેમણે આર્થિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું કામ કર્યું અને તેના દ્વારા ગરીબ લોકોને કોઈ પણ જાતની જામીન વગર લોન આપવાની શરૂઆત કરી. અગાઉ 2019માં તેઓ ભારતની આર્થિક સ્થિતિને લઈ કોમેન્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં માહોલ અસ્થિર છે અને આવા સંજોગોમાં લોકો રોકાણ કરતા અચકાય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટ કાળ દરમિયાન વાતચીતનો તબક્કો ચાલુ કર્યો છે. તેઓ સતત વિશ્વભરના તજજ્ઞો સાથે વિભિન્ન મુદ્દે વાત કરી રહ્યા છે જેમાં અર્થતંત્રથી લઈને સ્વાસ્થ્ય ક્ષેત્રની મોટી હસ્તિઓનો સમાવેશ થાય છે. તે સિવાય રાહુલ ગાંધી વિભિન્ન મુદ્દે પોતાનો મંતવ્ય પણ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત-ચીન વિવાદ મુદ્દે અનેક વીડિયોની સીરિઝ ચાલુ કરી હતી. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fb32vP
via IFTTT

ટિપ્પણીઓ નથી: