સંરક્ષણ મંત્રીએ કારગિલના શહીદોને કર્યું વંદન, ટ્વિટમાં લખ્યું- 'બહાદુર સૈનિકોને સલામ'


નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2020, રવિવાર

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય સેનાના વીર જવાનો અને શહીદોને તેમના અદમ્ય સાહસ માટે વંદન કર્યું હતું. સંરક્ષણ મંત્રી, સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ આજે દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપશે કારણ કે આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે. 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, 'કારગિલ વિજયની 21મી વર્ષગાંઠ નિમિત્તે હું ભારતીય સશસ્ત્ર દળોના એ બહાદુર સૈનિકોને સલામ કરવા ઈચ્છું છું જેમણે વર્તમાન ઈતિહાસમાં વિશ્વની સૌથી પડકારજનક સ્થિતિમાં દુશ્મનોનો સામનો કર્યો.'                                                           

એના પછીની ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું એ લોકોનો પણ આભારી છું જે યુદ્ધમાં અક્ષમ હોવા છતાં પોતાની રીતે દેશની સેવા કરતા રહ્યા અને અનુકરણ યોગ્ય ઉદાહરણ સ્થાપિત કર્યા.'                                                                                                                

વધુ એક ટ્વિટમાં સંરક્ષણ મંત્રીએ લખ્યું હતું કે, 'કારગિલ વિજય દિવસ હકીકતમાં ઉત્કૃષ્ટ સૈન્ય સેવા, અનુકરણીય વીરતા અને ભારતની બલિદાનની ગૌરવશાળી પરંપરાનો ઉત્સવ છે. આપણા સશસ્ત્ર દળના અતૂટ સાહસ અને દેશભક્તિએ ભારત સકુશળ અને સુરક્ષિત હોવાનું સુનિશ્ચિત કર્યું છે.'

ઉલ્લેખનીય છે કે, 21 વર્ષ પહેલા 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ જે શૌર્ય અને પરાક્રમ દેખાડેલું તેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. દુશ્મનોએ જે ચોટીઓ પર કબજો જમાવેલો, ત્યાંથી પાકિસ્તાની સૈનિકોને મારીને તે પહાડો પર કબજો જમાવવો કેટલું મુશ્કેલ હશે તેનો આપણે ફક્ત અંદાજો જ લગાવી શકીએ તેમ છીએ. માટે જ આજના દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામી આપે છે જે કારગિલમાં શહીદ થયા હતા. તેની યાદમાં જ દેશ આજે વિજય પર્વ ઉજવે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30L9CE9
via IFTTT

ટિપ્પણીઓ નથી: