સરકારે રૂ.210ના ભાવે 1.10 કરોડ 'કોવિશિલ્ડ'નો ઓર્ડર અપ્યો : રસી માટે કેન્દ્રના 20 મંત્રાલય સક્રિય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી, 2020, સોમવાર
સિરમ ઈન્સ્ટિટયૂટ દ્વારા ઉત્પાદિત કોરોના રસી કોવિશિલ્ડ ખરીદી માટે ભારત સરકારે ઓર્ડર આપી દીધો છે. રસીનો ભાવ 200 રૂપિયા છે, જ્યારે જીએસટી સાથે સરકારને 210માં પડશે.
શરૂઆતી તબક્કે સરકારે 1.10 કરોડ રસીનો ઓર્ડર આપ્યો છે. સોમવાર સાંજથી જ આ રસીનો જથ્થો દેશમાં નક્કી થયેલા 60 વિતરણ કેન્દ્રો તરફ મોકલવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભારતની આ રસી અત્યારે જગતની સૌથી સસ્તી કોરોના રસી છે.
રસીની કાર્યવાહી દેશ માટે અત્યારે સૌથી મોટી પ્રાથમિકતા છે. આમ તો રસી આરોગ્ય મંત્રાલયની કામગીરી છે. પરંતુ સ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારના વિવિધ 20 મંત્રાલયો રસીના કામમાં લાગેલા છે. તેમાં આરોગ્ય ઉપરાંત રેલવે, પરિવહન, સંરક્ષણ... વગેરેનો સમાવેશ થાય છે.
તો બીજી તરફ વિવિધ રાજ્યોના 2 ડઝન ડિપાર્ટમેન્ટ રસીકરણ માટે સક્રિય છે. વિવિધ રાજ્યોએ પોતાને ત્યાં આવનારી રસીના જથ્થા માટે સુરક્ષા, વિતરણ વ્યવસ્થા અને સ્ટોરજની સગવડ ઉભી કરી દીધી છે. દરેક રાજ્ય સરકાર માટે અત્યારે રસી જ ટોપ પ્રાયોરિટી પ્રોજેક્ટ છે.
સરકારે સ્પષ્ટ કર્યુ હતુ કે પ્રથમ 3 કરોડ કોરોના ફ્રન્ટલાઈન કાર્યકર્તાઓને રસી વિનામૂલ્યે અપાશે. અન્ય નાગરિકો પાસેથી રસીની રકમ લેવાશે કે કેમ અને લેવાશે તો કેટલી લેવાશે એ નક્કી કરવાનું બાકી છે. એ પછીના રાઉન્ડમાં 50 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 50થી ઓછી વયના પણ નબળું સ્વાસ્થ્ય ધરાવતા દેશવાસીઓને રસી અપાશે. એ સંખ્યા લગભગ 27 કરોડ જેટલી થાય છે.
બન્ને રસી ભારતમાં જ બનતી હોવાથી તેની કિંમત નીચી રાખી શકાઈ છે. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત બીજી કોરોના રસી કોવેક્સિનનો ઓર્ડર પણ ટૂંક સમયમાં અપાશે. ભારતનો રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી શનિવારથી આરંભાશે. એ જગતનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હશે. વડા પ્રધાન મોદીએ રસી વિતરણ, રસીકરણ અંગે આજે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે પ્રથમ રાઉન્ડમાં ફ્રન્ટલાઈન વર્કર સિવાય કોઈએ રસી લેવા આગળ આવવું ન જોઈએ. આપણેે રાજકારણીઓએ પણ રસીનો વારો આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ભારતમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસો 2.25 લાખ જેટલા જ છે. તો વળી સપ્ટેમ્બરમાં રોજના 95 હજાર કરતા વધારે કેસ નોંધાતા હતા, તેની સામે હવે દૈનિક કેસોની સંખ્યા 16 હજાર આસપાસ પહોંચી છે.
એક જ ડોઝમાં અસર કરતી રસી વિકસાવાઈ
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કોરોનાની નવી રસી પર કામ કરી રહી છે. એ રસી એક જ ડોઝમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શકે એવી છે. અત્યારે જગતભરમાં મંજૂર થયેલી કોરોના રસી બે ડોઝની છે. એક ડોઝ લીધા પછી 25-30 દિવસ બાદ બીજો ડોઝ લેવાનો છે. સ્ટોનફોર્ડની આ રસીનો ઉંદર પર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એ કારગત જણાઈ છે. એ ખરેખર ઉપયોગી સાબિત થશે તો પછી મનુષ્યો પર પ્રયોગની છૂટ મળશે.
કો-વિન એપ હજુ સુધી ઉપલબ્ધ નથી
રસી માટે સરકારે કો-વિન એપ તૈયાર કરી છે. આ એપ તૈયાર થાય છે, એટલે અત્યારે ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. કો-વિનના નામે પ્લે-સ્ટોર, એપ-સ્ટોરમાં બીજી એપ જોવા મળે તો એ ડાઉનલોડ કરવાથી દૂર રહેવું. કો-વિનના નામે અનેક નકલી અને છેતપરિંડી કરનારી એપ તૈયાર થઈ ચૂકી છે. કોરોના રસી માટે એપમાં રજીસ્ટ્રેશન જરૂરી હોવાથી અત્યારે એપના નામે નાણાકિય છેતરપિંડી શરૂ થઈ છે. પરંતુ હકીકત એ છે કે સરકારે કો-વિન એપ ડાઉનલોડ કરવાની હજુ સુધી સૂચના આપી નથી.
2 અબજ ડોઝનો બાયોએનટેકનો લક્ષ્યાંક
અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા ઉત્પાદિત રસી માટે 2 અબજ ડોઝનો લક્ષ્યાંક કંપનીએ નિર્ધારિત કર્યો છે. અગાઉ ફાઈઝરે જાહેર કર્યું હતું કે 2021માં અમેે 1.3 અબજ રસીના ડોઝ ઉત્પાદિત કરી શકીશું. હવેે કંપનીએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં 2 અબજ ડોઝ ઉત્પાદન કરવાની ક્ષમતા અમે ઉભી કરી છે.
પહેલા મોદીએ રસી લેવીજોેઇએ:એનસીપી
દેશમાં અનેક લોકોને કોરોનાની રસી અંગે શંકા છે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પહેલા રસી લઇને લોકોની શંકાને દૂર કરવી જોઇએ, એમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના પ્રવકતા નવાબ મલિકે વેડીયો મેસેજ દ્વારા આ કોમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 16 જોન્યુઆરીથી આખા દેશમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થશે. મલિકે કહ્યું હતું કે લોકો હજુ પણ કોરોનાની રસી અંગે જાગૃત નથી માટે વડા પ્રધાને પોતે રસ લઇને દાખલો બેસાડવો જોઇએ.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XzTDre
via IFTTT
ટિપ્પણીઓ નથી: