કોવેક્સીનની આડઅસરો દેખાય તો વળતર અપાશે : એઈમ્સ ડિરેક્ટર


નવી દિલ્હી, તા.૩ 

ભારતમાં કોરોનાની બે રસીઓને ઈમર્જન્સી વપરાશને મંજૂરી અપાયા પછી વેક્સિન અંગે સવાલો ઊભા થતાં એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે,કોવેક્સિન અપાયા પછી કોઈ વ્યક્તિમાં તેની આડ અસર દેખાશે તો તેને વળતર અપાશે. બીજીબાજુ ડીજીસીઆઈ ડૉ. વી.જી. સોમાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બંને રસી ૧૧૦ ટકા સલામત છે.

કોરોનાની રસીઓને ઈમર્જન્સી વપરાશ માટે ડીજીસીઆઈની મંજૂરી પછી કોંગ્રેસ સહિત કેટલાક પક્ષોએ સવાલ ઊઠાવ્યા પછી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, રસી અપાયા પછી કોઈને આડ અસર જોવા મળશે તો તેને વળતર અપાશે. ક્લિનિકલ ટ્રાયલ વખતે પણ આમ કરાયું હતું. ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે બ્રિટનના નવા સ્ટ્રેનના ગંભીર પરિણામ હોય છે તો કોવેક્સિનનો માત્ર બેકઅપની જેમ ઉપયોગ કરાશે.

તેમણે ઉમેર્યું કે આપણે રસીની વાત કરીએ ત્યારે સલામતી સર્વોપરી હોય છે અને તેથી રસી વિવિધ તબક્કામાંથી પસાર થાય છે, જેથી તે સલામત છે તેની ખાતરી કરી શકાય. ત્યારે જ અમે માણસો પર પરિક્ષણની મંજૂરી આપીએ છીએ. બધા જ ડેટાની નિષ્ણાતો દ્વારા ગંભીરતાથી ચકાસણી કરાય છે, ત્યારપછી જ રસીને મંજૂરી અપાય છે. આપણા દેશ માટે આજનો દિવસ ઘણો સારો છે અને નવા વર્ષની શરૂઆત માટે આ ખૂબ જ સારી રીત છે. બંને રસી ભારતમાં બનાવાઈ છે. તેનો પડતર ખર્ચ ઓછો છે અને તેની જાળવણી સરળ છે. આપણે ખૂબ જ ઓછા સમયમાં રસી લગાવવાનું શરૂ કરવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં સીરમ ઈન્સ્ટિટયૂટની રસી અપાશે. તેમની પાસે પેહલાથી જ પાંચ કરોડના ડોઝ ઉપલબ્ધ છે અને તે શરૂઆતના તબક્કામાં આ રસી પૂરી પાડવા સક્ષમ હશે. આ તબક્કામાં આપણે લગભગ ૩ કરોડ લોકોને રસી આપીશું. ત્યાં સુધીમાં ભારત બાયોટેકની રસીનો ડેટા ઉપલબ્ધ થઈ જશે અને તેનો પણ વપરાશ શરૂ કરી શકાશે.

બીજીબાજુ ડીસીજીઆઈ ડૉ. વી.જી. સોમાણીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં કોરોનાની બંને રસી ૧૧૦ ટકા સલામત છે. જોકે, ભારત બાયોટેકની રસીનો ઉપયોગ કરનારા લાભાર્થી રસીની માહિતી મેળવ્યા પછી સંમતિ પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી ભારત બાયોટેકની રસીને મંજૂરી નહીં અપાય. રસી જ્યાં સુધી તેની ટ્રાયલ પૂરી ન કરી લે ત્યાં સુધી તેને સંપૂર્ણ મંજૂરી નહીં અપાય.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o5XWGB
via IFTTT

ટિપ્પણીઓ નથી: