ભારતમાં કોરોનાની બે વેક્સિનને મંજૂરી, ટૂંકમાં રસીકરણ શરૂ થશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૩
કોરોના મહામારીનો સામનો કરવા માટે નવા વર્ષમાં સતત ત્રીજા દિવસે દેશવાસીઓને એક સાથે કોરોનાની બે રસીની ભેટ મળી છે. નવા વર્ષમાં રવિવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)એ ઓક્સફર્ડ-જેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ઉપરાંત કેડિલા હેલ્થકેરને ભારતમાં ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલની પણ મંજૂરી આપી દેવાઈ છે. દેશમાં હવે કેન્દ્ર સરકારની જાહેરાતની સાથે જ રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ જશે. આ રસીઓને મંજૂરી મળતાં વડાપ્રધાન મોદી અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ દેશને શુભેચ્છા પાઠવી છે.
ડીસીજીઆઈ મુજબ બંને રસી સંપૂર્ણપણે સલામત છે. રસીકરણ દરમિયાન બે-બે ડોઝ અપાશે. આ પહેલાં કોરોનાની આ બંને રસીઓના ઈમર્જન્સી વપરાશ માટેની ભલામણ કરનારી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (સીઈસી)એ કેટલીક શરતો સાથે બંને રસીને ઈમર્જન્સી વપરાશ માટે લીલી ઝંડી આપી હતી, જેના પર રવિવારે ડીસીજીઆઈએ અંતિમ મહોર લગાવી દીધી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવાયેલી રસીનું સીરમ ઈન્સ્ટિટયૂટ કોવિશિલ્ડ નામથી ભારતમાં ઉત્પાદન કરી રહી છે જ્યારે સ્વદેશી રસી કોવેક્સીન ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ વિકસાવી છે. ડીસીજીઆઈની મંજૂરી મળવાની સાથે હવે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તારીખની જાહેરા કરવામાં આવતાં જ કોરોનાની આ બંને રસીનો ઉપયોગ શરૂ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને રસીઓને મંજૂરી મળ્યા પછી દેશવાસીઓ અને વૈજ્ઞાાનિકોને અભિનંદન પાઠળ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારતના યુદ્ધમાં એક નિર્ણાયક ક્ષણ. સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની રસીને ડીસીજીઆઈની મંજૂરીથી એક સ્વસ્થ અને કોવિડ મુક્ત ભારતના અભિયાનને બળ મળશે. આ અભિયાનમાં અથાગ પ્રયાસ કરનારા વૈજ્ઞાાનિકો-ઈનોવેટર્સને શુભેચ્છા અને દેશવાસીઓને અભિનંદન. એ ગૌરવની વાત છે કે જે બે રસીને ઈમર્જન્સી વપરાશની મંજૂરી અપાઈ છે, તે બંને મેડ ઈન ઈન્ડિયા છે. આ આત્મનિર્ભર ભારતનું સપનં પૂરું કરવા માટે આપણા વૈજ્ઞાાનિક સમાજની ઈચ્છાશક્તિ દર્શાવે છે. તે આત્મનિર્ભર ભારત, જેનો આધાર છે - સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા.
વડાપ્રધાને કહ્યું કે વિપરિત પરિસ્થિતિઓમાં અસાધારણ સેવાભાવ માટે આપણા ડૉક્ટરો, મેડિકલ પ્રોફેશનલ્સ, વૈજ્ઞાાનિકો, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને બધા જ કોરોના વોરિયર્સ પ્રત્યે આપણે કૃતજ્ઞાતા વ્યક્ત કરીએ છીએ. દેશવાસીઓનું જીવન બચાવવા માટે આપણે સદા તેમના આભારી રહીશું.' ભારતમાં કોરોનાની બે રસીને ઈમર્જન્સી વપરાશની મંજૂરી મળવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ સ્વાગત કર્યું છે. 'હૂ'ના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના નિદેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન કોરોના રસી માટે ભારત દ્વારા ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે.
દેશમાં બે રસીઓને મંજૂરી મળવાની સાથે કેન્દ્ર સરકાર કોરોના રસીકરણ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શનિવારે રસીકરણનું રિહર્સલ કરાયું હતું. આ દરમિયાન રસીકરણ કાર્યક્રમ માટેની તૈયારીઓ અને પડકારોની સમિક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ દરમિયાન સમગ્ર દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોક ડ્રિલ દરમિયાન ૨૮૬ સત્રોમાં લગભગ ૧,૧૪,૧૦૦ વેક્સીનેટર્સને તાલિમ આપવામાં આવી હતી.
રસીકરણના રિહર્સલ દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મ કો-વિન કેવી રીતે કામ કરશે, વેઈટિંગ રૂમમાં બેસવાની વ્યવસ્થા, ઓબ્ઝર્વેશન રૂમ, સાઈડ ઈફેક્ટ થાય તો રસીકરણના કેન્દ્ર પર ઈમર્જન્સી કીટ અને દવાઓની ઉપલબ્ધતા ઉપરાંત કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો તેના માટે શું વ્યવસ્થા છે તેવી તમામ બાબતોનું મૂલ્યાંકન થયું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/389XPUK
via IFTTT
ટિપ્પણીઓ નથી: