દેશના 4 રાજ્યોમાં ન નોંધાયો કોરોનાનો એક પણ નવો કેસ


- હવે કોરોનાની અસર કેટલાક રાજ્યો પૂરતી સીમિત રહી!

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

કોરોના વાયરસને લઈ હવે ધીરે-ધીરે એવી સ્થિતિ નિર્માણ પામી રહી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં તેનો એક પણ નવો કેસ સામે નથી આવી રહ્યો. દેશના 4 રાજ્યોમાં મંગળવારે કોરોનાનો એક પણ નવો સંક્રમિત દર્દી નહોતો નોંધાયો. ઉપરાંત મંગળવારે જ 19 રાજ્યોમાં એક પણ દર્દીએ કોરોના સંક્રમણના કારણે પોતાનો જીવ નહોતો ગુમાવ્યો. 

દેશમાં 1.41 લાખ સક્રિય દર્દી

દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ 2,000થી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ કારણે હવે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1.41 લાખ જ બચી છે અને તેમાં પણ એક લાખ જેટલા દર્દીઓ પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા એક દિવસમાં દેશમાં 11,067 સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા જ્યારે 13,087ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે સંક્રમણના કારણે 94 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,58,371 થઈ ગઈ હતી જે પૈકીના 1,05,61,608 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે 1,55,252 દર્દીઓના મોત થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, અંદામાન નિકોબાર, મણિપુર, પોંડિચેરી, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી તથા લદ્દાખમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીએ પોતાનો જીવ નહોતો ગુમાવ્યો. 

આ જ પ્રકારે દાદરા નગર હવેલી, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને સિક્કિમમાં એક પણ નવો દર્દી નહોતો નોંધાયો. કુલ સક્રિય દર્દીઓ પૈકીના 71 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર અને કેરળના છે. છેલ્લા 24 કલાકમાં 83.31 ટકા નવા દર્દીઓ અને 81 ટકા મૃત્યુ 6 રાજ્યોમાંથી નોંધાયા છે. આ બધા આંકડાઓ પરથી કોરોનાની અસર હવે સમગ્ર દેશ પર નહીં પરંતુ કેટલાક રાજ્યો પૂરતી સીમિત રહી છે તેવું જાણી શકાય છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tFXfXE
via IFTTT

ટિપ્પણીઓ નથી: