આજે પુલવામા હુમલાની બીજી વરસી, CRPF જવાનોના બલિદાનને યાદ કરી રહ્યો છે દેશ


- પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો MFN દરજ્જો પાછો ખેંચેલો

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

આજે પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલાની બીજી વરસી છે અને દેશ CRPFના જવાનોના બલિદાનને યાદ કરી રહ્યો છે. પુલવામા હુમલાના બે વર્ષ બાદ આજે પણ દેશને તે દિવસ યાદ છે જ્યારે એક આત્મઘાતી હુમલાખોરે સુરક્ષા દળના જવાનોને લઈને જઈ રહેલી બસને IEDથી લદાયેલી ગાડી વડે ટક્કર મારી દીધી હતી. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. 

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPFના કાફલા પર હુમલો થયો હતો. આદિલ અહમદ ડાર નામના એક 22 વર્ષીય આત્મઘાતી હુમલાખોરે જવાનોને લઈને જઈ રહેલી બસમાં વિસ્ફોટક ભરેલું વાહન ઘુસાડી દીધું હતું. CRPFના તે કાફલામાં 78 બસ હતી અને આશરે 2,500 સૈનિકો જમ્મૂથી શ્રીનગર જઈ રહ્યા હતા. 

પુલવામા ખાતેના આતંકવાદી હુમલાના થોડા દિવસો બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ ખાતે આવેલી જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી પ્રશિક્ષણ શિબિર પર એરસ્ટ્રાઈક કરી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયોએ આતંકવાદી હુમલાને અનુલક્ષીને ભારતને પોતાનું મજબૂત સમર્થન આપ્યું હતું અને ભારતે પાકિસ્તાનને એનાયત કરવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. 

ત્યાર બાદ 14 ફેબ્રુઆરી, 2020ના રોજ પુલવામાની લેથપોરા શિબિરમાં CRPFના પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા તમામ 40 જવાનોના નામવાળા સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્મારકને પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ 40 સૈનિકોના નામ, તેમની તસવીરો અને CRPFના આદર્શ વાક્ય- "સેવા અને નિષ્ઠા" સાથે અંકિત કરવામાં આવ્યું છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tZAgXA
via IFTTT

ટિપ્પણીઓ નથી: