પુરી રથયાત્રા સાથે સંકળાયેલા અનુષ્ઠાનની શરૂઆત, અમદાવાદમાં મંદિરની બહાર નહીં નીકળે રથયાત્રા

અમદાવાદ, તા. 23 જૂન 2020, મંગળવાર
કોરોના સંકટ વચ્ચે પણ ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાની ઓળખ સમાન પુરીની રથયાત્રાને કોઈ અડચણ નહીં નડે. ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક આકરી શરતો સાથે રથયાત્રાની મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે જ આજે સવારથી જ રથયાત્રા સાથે સંકળાયેલા અનુષ્ઠાન પણ ચાલુ થઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો મંદિર પરિસરમાં જ આરંભ થયો.
સુપ્રીમ કોર્ટ દ્વારા રથયાત્રા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું તે સાથે જ જય જગન્નાથના ઉદ્ઘોષ સાથે પુરી ગુંજી ઉઠ્યું હતું. સેવકોએ ત્રણેય રથ ખેંચીને મુખ્ય મંદિર સુધી પહોંચાડ્યા હતા અને યુદ્ધસ્તરે રથયાત્રાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. યાત્રાના માત્ર એક જ દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રા પર કોરોના સંક્રમણના કારણે જે પ્રતિબંધ મુકવામાં આવેલો તેને હટાવી લેવાયો હતો પરંતુ કેટલીક આકરી શરતોનું પાલન કરવા આદેશ અપાયો હતો.
દર વર્ષની માફક આજે પણ પુરીમાં રથયાત્રા નીકળશે પરંતુ તે દૃશ્ય ઘણું જ અલગ હશે. આ વખતે પહેલા જેવી ભીડ નહીં હોય, પુરીમાં અન્ય સ્થળોએથી ભક્તોનો ધસારો નહીં હોય. સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર સોમવારે રાતે 9:00 કલાકથી જ પુરીમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે જે બુધવારે બપોરે 2:00 કલાક સુધી અમલમાં રહેશે. તે સમયે કોઈ પણ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી.
ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથના માસીનું ઘર માનવામાં આવે છે. ત્યાં ભગવાન સાત દિવસ સુધી આરામ કરે છે અને ત્યાર બાદ પરત જવાની યાત્રા શરૂ થાય છે. ઓડિશામાં પુરી સિવાય પણ અનેક સ્થળે આવી યાત્રાઓ યોજવામાં આવે છે. અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે અને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાના ઝાડુ વડે ઝાડુ લગાવીને રથ ખેંચ્યો હતો.
જોકે રથયાત્રા મંદિર પરિસરમાંથી બહાર નહોતી નીકળી. માત્ર ગણતરીના ભક્તોની જ હાજરીમાં સવારે 4:00 કલાકે મંગળા આરતી અને દર્શનની શરૂઆત થઈ હતી. ભગવાન જગન્નાથને રથમાં બેસાડીને આખો દિવસ ભક્તો મંદિર પરિસરમાં જ તેમના દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં એક સાથે માત્ર 10 જ લોકોને પ્રવેશની મંજૂરી મળશે. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે થર્મલ ચેકિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dtrxn8
via IFTTT
ટિપ્પણીઓ નથી: