સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જનતા સામે આવ્યા અને દેશને 80 કરોડ ગરીબ લોકોને મફત અનાજ આપનારી યોજના નવેમ્બર સુધી એટલે કે પાંચ મહિના માટે વધારાઈ છે. મોદીએ જે યોજનાને વધારી છે, તેનું નામ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના છે.
મોદીએ દેશની જનતાને સંબોધિત કરતા 16 મિનિટના ભાષણમાં બિહારના લોકપર્વ છઠ અંગે બે વખત ઉલ્લેખ કર્યો હતો. છઠનો ઉલ્લેખ કરવા પાછળ પણ એક કારણ એ છે કે બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી આવે છે.
ગૃહમંત્રી અમિત શાહે તો જૂનમાં જ બિહારમાં વર્ચુઅલ રેલી કરીને ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી હતી અને હવે વડાપ્રધાન મોદી પણ ચૂંટણી મૂડમાં આવી ગયા છે. જો કે, મોદીએ જે યોજનાને નવેમ્બર સુધી વધારી છે, તે એપ્રિલથી જ લાગુ થઈ ગઈ છે.
સૌથી પહેલીવાત, શું છે મફત અનાજની યોજના?
મોદી સરકારે માર્ચમાં કોરોના વાઈરસ વખતે જ વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજની શરૂઆત કરી હતી. આ પેકેજ માટે 1.70 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પેકેડમાં અન્ન યોજના પણ શરૂ થઈ હતી. જેમાં દેશના 80 કરોડથી વધુ ગરીબોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરાઈ હતી.
આ યોજના હેઠળ જે લોકો પાસે રાશન કાર્ડ છે, તેમને દર મહિને આ મફત અનાજ તેમના હાલના અનાજ કોટાથી અલગ મળશે. રાશનકાર્ડ ધારકોને પહેલા પણ 5 કિલો અનાજ અને 1 કિલો દાળ મળતી હતી. જો કે, તેના માટે થોડા પૈસા ચુકવવા પડે છે. જ્યારે અન્ન યોજના હેઠળ તેમણે મફતમાં અનાજ મળશે.
જો કોઈ પરિવારમાં એક રાશન કાર્ડમાં પાંચ લોકોનું નામ છે. તો પરિવારના દરેક સભ્યને અન્ન યોજના હેઠળ તો 25 કિલો અનાજ અને 1 કિલો દાળ મફત મળશે. આ ઉપરાત 25 કિલો અનાજ અને 1 કિલો દાળ પણ થોડા પૈસા આપીને ખરીદી શકે છે.
બિહારમાં કેટલા લોકોને ફાયદો મળશે?
30 માર્ચે ડિપાર્ટમેન્ટ ઓફ ફુડ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશને એક આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે જાહેર કરાયો હતો. આ આદેશમાં લખવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશભરના 80.95 કરોડ ગરીબ લોકોને 3 મહિના સુધી 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો દાળ મફતમાં મળશે.
આ આદેશ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 15.20 કરોડ લોકોને મફત અનાજ મળશે. બીજા નંબરે બિહાર છે, જ્યાંના 8.57 કરોડ લોકોને મફત અનાજ મળશે. એટલે કે દેશભરમાં જેટલા ગરીબ લોકોને મફત અનાજ મળશે, તેના 10% ભાગ બિહારમાં જશે.

એપ્રિલથી જૂન સુધી કેટલું અનાજ વહેંચાયું?
PIBના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલથી જૂનના ત્રણ મહિના માટે કુલ 104.3 લાખ મેટ્રિક ટન ચોખા અને 15.2 લાખ મેટ્રિક ટન ઘઉંની જરૂર હતી. જેમાંથી 101.02 લાખ મેટ્રિક ટન ચોખા અને 15 લાખ મેટ્રિક ટન ઘઉં અલગ અલગ રાજ્યો અને યૂટી પાસેથી લેવાયા હતા. એટલે કે કુલ 116.02 લાખ મેટ્રિક ટન અનાજ.
સરકાર તરફથી આ યોજના હેઠળ એપ્રિલમાં 37.02 લાખ મેટ્રિક ટન અનાજ 74.05 કરોડ(93%) લોકોને આપ્યું હતું. મે મહિનામાં 36.49 લાખ મેટ્રિક ટન અનાજ 72.99 કરોડ(91%) લોકોને આપવામાં આવ્યા અને જૂનમાં 28.14 લાખ મેટ્રિક ટન અનાજ 56.81 કરોડ(71%)લોકોને મળ્યું હતું.
ચોખા અને ઘઉં માટે સરકારે 46 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જેનો પુરે પુરો ખર્ચ કેન્દ્ર સરકારે જ ઉઠાવ્યો હતો.
સાથે જ ત્રણ મહિના માટે કુલ 5.87 લાખ મેટ્રિક ટન દાળની જરૂર હતી. જેના માટે 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકારે જ ઉઠાવ્યો. એપ્રિલથી જૂન સુધી 4.40 લાખ મેટ્રિક ટન દાળ વહેંચાઈ ચુકી છે.

હાલ કેટલું અનાજ સ્ટોકમાં છે?
ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરના ડેટા પ્રમાણે, જૂન સુધી સરકાર પાસે 832.69 લાખ મેટ્રિક ટન અનાજ છે. જેમાંથી 274.44 લાખ મેટ્રિક ટન ચોખા અને 558.25 લાખ મેટ્રિક ટન ઘઉં છે.
ચોખા અને ઘઉં સિવાય 18 જૂન સુધી 8.76 લાખ મેટ્રિક ટન દાળ સ્ટોકમાં હતી. જેમાંથી 3.77 લાખ મેટ્રિક ટન તુવેર દાળ, 1.14 લાખ મેટ્રિક ટન મગ દાળ, 2.28 લાખ મેટ્રિક ટન અડદ દાળ, 1.30 લાખ મેટ્રિક ટન ચણા દાળ અને 0.27 લાખ મેટ્રિક ટન મસૂર દાળ છે.
સરકારના જણાવ્યા પ્રમાણે, નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA અને અન્ય યોજનાઓ હેઠળ દર મહિને લગભગ 55 લાખ મેટ્રિક ટન અનાજની જરૂર પડે છે. આ હિસાબે જૂન 2020 સુધી સરકાર પાસે જેટલું અનાજ સ્ટોકમાં છે, તેનાથી તે આગામી 15 મહિના સુધી ગરીબોમાં અનાજ વહેંચી શકે છે.

છેલ્લી વાત, આ બધાથી બિહારને કેવી રીતે ટાર્ગેટ કરી રહી છે સરકાર?
વડાપ્રધાન મોદી જ્યારે 30 જૂને જનતાને સંબોધિત કરવા આવ્યા તો તેમણે છઠ પૂજાનો બે વખત ઉલ્લેખ કર્યો. છઠ બિહારનો લોકપર્વ છે. એટલા માટે તેમના સંબોધનને બિહાર ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, 2019ની લોકસભા ચૂંટણી વખતે બિહારમાં 7.10 કરોડ વોટર્સ હતા. જેમાંથી 4.10 કરોડે જ વોટ આપ્યા હતા. જ્યારે બિહારમાં ગરીબોની સંખ્યા ઉત્તરપ્રદેશ પછી સૌથી વધુ છે.
રાજ્યમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે અને નવેમ્બર સુધી જ ગરીબોને મફત અનાજ આપવામાં આવશે. ત્યાં આ યોજનાનો જે લોકોને લાભ મળ્યો છે, તેની સંખ્યા 8.5 કરોડથી વધુ છે.
2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર સૌથી વધુ 25% હતો. તેને 93 લાખથી વધુ વોટ મળ્યા હતા. જો કે, આ ચૂંટણીમાં ભાજપ રાજ્યની 243 વિધાનસભા બેઠકોમાંથી 53 જ જીતી શકી હતી.
ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 96 લાખથી વધુ મત મળ્યા હતા. તેનો વોટ શેર 24%થી વધુ હતો. તેને 40માંથી 17 બેઠકો જીતી હતી.
જો માની લેવામાં આવે કે જે લોકોને મફત અનાજ મળી રહ્યું છે, તેમાંથી 10% લોકો જ વોટર્સ હશે તો સંખ્યા 85 લાખથી વધુ હોય છે. જો આ 85 લાખ વોટર્સમાંથી પણ મોટાભાગના લોકો ભાજપને વોટ આપશે, તો પણ ભાજપને ચૂંટણીમાં મોટો ફાયદો થવાનો અંદાજ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dRS2my
via IFTTT
ટિપ્પણીઓ નથી: