ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

પશ્વિમ બંગાળ કોરોના મહામારી અને અમ્ફાન સુપર સાઈક્લોનના બેવડા પ્રહાર સહન કરી રહ્યું છે. અહીં સુપર સાઈક્લોનથી નુકસાન થયેલા મકાનોના વળતર અને રાહત સામગ્રી વિતરણમાં ગરબડ થયાના ફરિયાદો આવી રહી છે. આ અંગે સરકાર પોતાનો બચાવ કરી રહી છે. ગરબડ કરનારાઓ પાસેથી રાહતની રકમ વસુલવામાં આવી રહી છે.
દક્ષિણ 24 પરગણામાં 250 લોકોએ રાહત રકમ પાછી આપવી પણ પડી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા છે. ભાજપે મમતા અને તેની સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મુદ્દો બનાવીને યુદ્ધ છેડ્યું છે, તો મમતા વાતે વાતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાનું ચુકતા નથી. તેમનો સીધો આરોપ છે કે કેન્દ્ર સરકારે બન્ને મામલામાં રાજ્યોનો હક છીનવ્યો છે.

મમતાએ કહ્યું- ખોટા આરોપો લગાવાઈ રહ્યા છે
રાહત રકમમાં ગરબડની ફરિયાદ અંગે મમતાએ 8 જુલાઈએ રાજ્ય પોલીસના એક કાર્યક્રમમાં સ્પષ્ટતા કરી છે કે જ્યાં પણ ફરિયાદ મળી, કાર્યવાહી કરવામાં આવી. વિપક્ષ રાજકીય લાભ માટે નાની વાતને મોટી કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર તો વામ મોરચા સરકારમાં થયો હતો, અમે 90% અટકાવી દીધો તો ગભરાઈને ખોટા આરોપો લગાવી રહ્યા છે. તૃણમૂલ મહાસચિવ પાર્થ ચેટરજીએ પણ નિવેદન આપ્યું કે રાજ્યના 80,000 બૂથોમાંથી 1000માં સમસ્યા હતી. ત્યાં કાર્યવાહી કરાઈ છે. પાર્ટીએ કોઈને નથી છોડ્યા.

મેદિનીપુર જિલ્લાના રાધામોહનપુરમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

ભાજપે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
અમ્ફાન રાહત વિતરણમાં ગરબડની ફરિયાદને નોંધવા માટે ભાજપ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે તો 'आमादेरदिलिपदा.इन/साइक्लोन-अम्फन' પોર્ટલ જ લોન્ચ કરી દીધું છે. પાંચ દિવસ પહેલા લોન્ચ કરાયેલા આ પોર્ટલ પર 1056 ફરિયાદ થઈ છે. ઘોષે જણાવ્યું કે, ગભરાઈ તો દીદી ગયા છે. 20 હજારના દરે પાંચ લાખ લોકોમાં સરકારે 1000 કરોડ રૂપિયા વહેંચ્યા છે. અમે કહ્યું કે, જે લોકોને સહાય રકમ આપવામાં આવી છે તેમની યાદી પંચાયતમાં લગાડવામાં આવે.

સરકારે બ્લોકમાં ટીંગાળ્યા એટલી ભીડ અને ભાગ દોડ થઈ. રાહતના નામે પાર્ટીના લોકોને જ ફાયદો પહોંચ્યો છે. એક એક ઘરમાં પાંચ-પાંચ, સાત-સાત લોકોના નામ આપી દીધા. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. ગરબડ કરનાર પાસેથી પૈસા વસુલવામાં આવી રહ્યા છે, તેમને TMC પાર્ટીમાંથી કાઢી રહી છે, પરંતુ તેમની પર કેસ કેમ નથી થઈ રહ્યા? સૌથી વધુ ગરબડ તો ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકના વિસ્તારમાં થઈ છે. TMC તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતી.


કોંગ્રેસનો આરોપ ભાજપ અને ટીએમસી બન્ને પર છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર બન્નેએ જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે.

કોંગ્રેસ-વામ મોરચાએ ભાજપ અને TMC પર આરોપ લગાવ્યા
કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર ટ્રેન વેચી રહી છે, ખાણ વેચી રહી છે અને રાજ્ય સરકાર રાહતના ચોખા વેચી રહી છે. ભાજપે કહ્યું હતું કે, ચિટફંડ ગોટાળાના પૈસા પાછા આપીશું પણ જે આરોપી હતા તે ભાજપના થઈ ગયા. જનતા સંકટમાં છે અને બન્ને પાર્ટીઓ વોટનો હિસાબ કરી રહી છે. જનતા પણ એ જ ખાતાવહી લઈને બેસી છે, સમય આવ્યે તે ભાજપ-તૃણમૂલનો હિસાબ કરીને આપશે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રદીપ ભટ્ટાચાર્ય કહે છે, રાજ્ય હોય અથવા કેન્દ્ર સરકાર બન્નેએ જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે. બન્ને માત્ર પોલિટિકલ સ્કોર સેટલ કરવામાં લાગી ગયા છે.

ભાજપનો આરોપ- મમતા સરકાર કેન્દ્રની યોજના લાગુ નથી કરી રહી
કેન્દ્રીય યોજનાઓ અંગે પણ અહીંયા મોટો હોબાળો છે. સરકાર આને એ તર્ક પર લાગુ નથી કરતી કે કેન્દ્ર કરતા સારી રાજ્યની યોજનાઓ પહેલાથી ચાલી રહી છે. મમતા બેનર્જીનું કહેવું છે કે કેન્દ્રીય યોજનાઓ પહેલાથી ચાલી રહી છે. મમતા બેનર્જીનું કહેવું છે કે કેન્દ્રીય યોજનામાં અડધાથી વધુ પૈસા જ્યારે રાજ્યને આપવા પડે છે તો ક્રેડિટ કેન્દ્રને કેમ આપવામાં આવે છે? કોરોનાના પ્રકોપમાં પણ તેમણ ફરી કહ્યું કે, ‘આયુષ્માન ભારત’યોજના પશ્વિમ બંગાળમાં લાગુ નહીં થાય. કેન્દ્ર આ યોજનાનો 40% ભાગ આપશે અને 100% ક્રેડિટ લેશે,આવું નહીં બને. આપણી ‘સ્વાસ્થ્ય સાથી’યોજના, આયુષ્માન ભારત યોજના આવ્યાના બે વર્ષ પહેલાથી ચાલી રહી છે.

ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષનું કહેવું છે કે આયુષ્માન ભારતની જેમ રાજ્ય સરકારની સ્કીમનો લાભ રાજ્યની બહાર નથી મળતો, ગંભીર બિમારીઓની સારવાર માટે બહાર જવુ મજબૂરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને દીદીએ લાગુ જ ન થવા દીધા. એ ‘કિસાન બંધુ’ સ્કીમની વાત કરે છે પણ લાભ કેટલા ખેડૂતોને મળે છે તેની કોઈ યાદી નથી આપતી.


ઝારગ્રામમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહેલા ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ. ભાજપનો આરોપ છે કે મમતા બેનર્જી કેન્દ્ર સરકારીને યોજનાઓને અહીંયા લાગુ નથી થવા દેતી.

તેમણે કહ્યું કે કેન્દ્રની સ્કીમ હેઠળ 80 લાખ ખેડૂતોને લાભ મળે છે. 6000 યોજનાના અને કોવિડ સ્પેશ્યલના 2000 રૂપિયા જોડીને કુલ 8 હજાર રૂપિયાની રકમથી ખેડૂતોને વંચિત કરી દીધા. દેશના જે જિલ્લામાં 25 હજારથી વધુ પ્રવાસી મજૂર પહોંચ્યા તેમના માટે ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’સ્કીમ શરૂઆત થઈ છે પરંતુ મમતા સરકારે બંગાળમાં તેને શરૂ જ ન થવા દીધી. સરકાર પાસે એ આંકડો નથી કે કયા જિલ્લામાં કેટલા શ્રમિક પાછા આવ્યા છે. માત્ર હવામાં વાતો થઈ રહી છે.

ભાજપ- TMC બન્ને ઈચ્છે છે કે કોંગ્રેસ-વામ મોરચા માટે કોઈ જગ્યા ન વધે
તૃણમૂલ કોંગ્રેસ હિન્દી પ્રકોષ્ઠના સંયોજક રાજેશ સિન્હા આ આરોપોને ફગાવતા કહે છે કે, પશ્વિમ બંગાળમાં યુવાશ્રી, કન્યાશ્રી, કૃષિ બંધુ જેવી 13 યોજના પહેલાથી જ લાગુ છે, જેને કેન્દ્ર સરકારે કોપી કરી છે. પશ્વિમ બંગાળમાં કટ, કોપી, પેસ્ટ નહીં ચાલે. મહત્વનું છે કે રાજ્યમાં એપ્રિલ-મે 2021માં ચૂંટણી થવાની છે. અહીંયા ક્રેડિટ લેવાની સ્પર્ધા થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોલકાતાથી ગ્રાઉન્ડ રિપોર્ટ / ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા


from Divya Bhaskar https://ift.tt/3fTVOgQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: